સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયાના 3 મહિના થવા છતાં ફરિયાદ નોંધવામાં ન આવતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે પોલીસે ફરિયાદ નોંધવાને બદલે માત્ર નિવેદન જ લીધા છે.
રાજ્યમાં છાશવારે પેપર લીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગત ઓક્ટોબર મહિનામાં વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી હતી. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું હતું.
પેપર લીક થતા મચી ગયો હતો ભારે ખળભળાટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા હતા. BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું પેપર લીક થયું હતું તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતી. ગુરુવારે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા ભારે ખળભળાટ મચી ગયો હતો.
વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો હતો ઉગ્ર રોષ
જે બાદ બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે બી.કોમનું પેપર રદ્દ કરાયું હતું. જોકે, આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે 'આવાં તત્વો સામે યુનિવર્સિટી ફરિયાદ દાખલ શા માટે નથી કરતી, આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ.'
પોલીસ કાર્યવાહી પર સવાલ
તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું. જોકે, પેપર લીક થયાને પેપર લીકના 3 મહિના થવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે.
પોલીસે ફરિયાદ નોધવાની જગ્યાએ નિવેદનો જ લીધા
પેપર લીકના 3 મહિના થવા છતાં પોલીસે ફરિયાદ નોંધવાને બદલે માત્ર નિવેદન લીધા છે. પેપર લીકની તપાસ માટે પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો, પોલીસ કમિશનરને પત્ર લખવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. પોલીસે ફરિયાદ નોધવાની જગ્યાએ 2 પેપર સેન્ટરના નિવેદન લીધા છે.