નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકનો કરોડોનો ચૂનો ચોપડીને વિદેશ ફરાર થઈ ગયેલા નિરવ મોદી વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી શકે છે. રદ્દ થયેલા પાસપોર્ટના આધારે વિદેશમાં ફરી રહેલા નિરવ મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે. નિરવ મોદી બ્રિટનમાં હતો. ત્યાંથી પણ તે ભાગીને બેલ્જિયમ પહોંચી ગયો હોવાની જાણકારી મળી છે.
એવી પણ વિગતો સામે આવી છે કે નિરવ મોદી પાસે 6 જેટલા પાસપોર્ટ છે. જેમાંથી અન્ય 4 અન્ય પાસપોર્ટ સક્રીય ન હોવાનું જાણવા મળ્યું છે. તો બે પાસપોર્ટ એક્ટિવ છે. જેના આધારે તે હાલ ટ્રાવેલિંગ કરી રહ્યો હોવાની આશંકા છે. ભારત સરકારે નિરવ મોદીનો પાસપોર્ટ રદ કર્યો હોવા છતાં તે અન્ય પાસપોર્ટ પર એક બાદ એક દેશ બદલી રહ્યો છે.
જે મામલે તેની વિરુદ્ધ આકરા પગલા લેવાની તૈયારી થઈ રહી છે. ભારતે ઈન્ટરપોલને પણ જાણ કરી છે કે નિરવ મોદીના પાસપોર્ટને રદ કરી દેવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ કરવામાં આવી છે.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ ઈડીએ ઈન્ટરપોલને અપીલ કરી હતી કે તાત્કાલિક ધોરણે નિરવ મોદી અને આ કેસમાં અન્ય જે પણ ભાગેડુઓ છે તેની વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કરે. એક વખત ઈન્ટરપોલ વોરંટ જાહેર કરે તો ત્યાર બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે છે.