રાજ્ય સરકાર હવે ટૂંક સમયમાં જંત્રીના ભાવમાં વધારો કરશે તેવી ચર્ચાઓ અને શક્યતાઓના પગલે લોકો અને ડેવલપર્સ દસ્તાવેજોની નોંધણીમાં ઝડપ રાખતા હતા. જોકે જંત્રીના ભાવ બમણા થશે તેવી ચર્ચા હતી, જોકે હાલ પૂરતું તે દિશામાં આગળ વધવાનું રાજ્ય સરકારે મુલતવી રાખ્યું છે.
મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે સુરત ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે સરકારે જંત્રીના ભાવ બમણા કરવાનો વિચાર માંડી વાળ્યો છે, જે વિસ્તારમાં બહુ ઓછી જંત્રી હશે ત્યાં થોડો વધારો કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં નવી જંત્રી અમલી બનાવી હતી પછી સળંગ આઠ વર્ષ સુધી જંત્રીના દરમાં વધારો કરાયો નથી. છેલ્લા ત્રણ મહિનાથી નવી જંત્રી અમલમાં લાવી શકે તેવી વાત હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા અડધા દાયકામાં ડેવલપમેન્ટ વધ્યું છે, જેથી જંત્રી કરતાં ઊંચા ભાવે પણ દસ્તાવેજો નોંધાયા છે, જે વિસ્તારો ઝડપથી વિકાસ પામ્યા છે તેવા વિસ્તારોના જંત્રીના દરમાં વધારો થઇ શકે તેમ છે. ૧ એપ્રિલ ર૦૧૯થી સરકાર નવી જંત્રી લાવી શકે તેવી શકયતા હતી. વર્ષ ૨૦૧૧માં સરકાર નવી જંત્રી લાવી હતી. તે વખતે જંત્રીના દર ખૂબ ઊંચા હતા, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સરકારે નવા જંત્રીના વધારામાં ૫૦ ટકાની રાહત આપવી પડી હતી.
દેશનાં અન્ય રાજ્યએ સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં ઘટાડો કર્યો છે. હાલમાં કેટલાય રાજ્યમાં સ્ટેમ્પ ડ્યૂટીના દર ૨ ટકા જેટલા છે જ્યારે ગુજરાતમાં ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને એક ટકા રજિસ્ટ્રેશન ફી લેવાય છે. આમ સ્ટેમ્પ ડ્યૂટીના ઘટાડા તરફ જવા માટે સરકારે તબક્કાવાર જંત્રીના નવા દર અમલી બનાવવા ફરજિયાત છે, જોકે છેલ્લા બે-ત્રણ વર્ષથી નવી જંત્રીની વાતો આવે છે પણ દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે સરકાર જંત્રીના નવા દર લાવશે તો પણ એમાં મોટા ફેરફાર નહીં હોય. જ્યાં ડેવલપમેન્ટ વધ્યું છે તેવા વિસ્તારોમાં સામાન્ય ફેરફારો થઇ શકે તેમ છે.