મણિનગર વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં સવારે સ્ટાફની ભરચક હાજરી વચ્ચે ગઠિયા કળા કરી ગયા હતા. બોપલ વિસ્તારમાં આવેલ નીલકંઠ વિલામાં રહેતા બ્રિજગોપાલ શર્માએ પાંચ ગઠિયા વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
બ્રિજગોપાલ મણિનગર બેન્ક ઓફ બરોડામાં છેલ્લાં બે વર્ષથી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૩૧ જુલાઈના રોજ બ્રિજગોપાલ તેમજ સ્ટાફના માણસો પણ બેન્કમાં હાજર હતા, જેમાં બેન્કના કેશિયર જીતેન્દ્ર ઠક્કર તેમજ પ્રજ્ઞાબહેન શાહ કેશિયર કેબિનમાં ફરજ બજાવતાં હતાં.
સાંજના ચાર વાગ્યા બાદ બેન્કમાં લેવદેવડ બંધ કરીને કેશની ગણતરી કરવામાં આવે છે. તે દરમિયાન બેન્કમાં કેશનો હિસાબ કરતાં ૪.૫૦ લાખનો હિસાબ મળતો ન હતો. બ્રાન્ચ મેનેજરને શંકા જતાં બેન્કમાં રહેલ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પાંચ અજાણ્યા ગઠિયા રૂપિયાની ચોરી કરતાં દેખાતાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે હાલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.