અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડાથી વટવા-વિંઝોલ સુધી પસાર થતી 140 વર્ષ જૂની 18 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ જે ગંદકી અને દુર્ગંધ માટે જાણીતી છે. આ કેનાલને સંપૂર્ણપણે દુર્ગંધમુક્ત કરી તેનો વિકાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદની ખારીકટ કેનાલ પુરવાનું કામ શરૂ કરાયું છે. 18 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ રૂપિયા 1 હજાર 200 કરોડના ખર્ચે ડેવલોપ કરાશે. આખી કેનાલને ઢાંકી ઉપર રોડ બનાવવામાં આવશે. સાથે કેનાલની બંન્ને બાજુ RCC સ્ટ્રોમ વોટર બોક્સ નાખવામાં આવશે. 5 તબક્કામાં કેનાલની કામગીરી પૂર્ણ થશે. કેનાલના ડેવલોપમેન્ટ બાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા એવી ખારીકટ કેનાલની ગંદકીથી લઇને દુર્ગંધનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
ખારીકટ કેનાલનું થશે ડેવલોપમેન્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AMCએ મહત્વનો નિર્ણય લીધો હતો. ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું હતું કે, પાંચ તબક્કામાં આ ખારીકટ કેનાલનો ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. નરોડા સ્મશાનથી વિંઝોલ સુધી પ્રિકાસ્ટ બોક્સ કેનાલ અને કેનાલના બંને તરફ આર.સી.સી સ્ટ્રોમ વોટર બોક્સ નાખી અને આખી ખારીકટ કેનાલને ઢાંકી ઉપર રોડ બનાવવામાં આવશે.
1200 કરોડનાં ખર્ચે કેનાલનું થશે ડેવલોપમેન્ટ
ખારીકટ કેનાલનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. રૂપિયા 1200ના કરોડના ખર્ચે કેનાલનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેમાં 30 મીટરનો ખુલ્લો રોડ ખારિકટ કેનાલ ઉપર બનશે. રાત્રી દરમિયાન જરુરી પ્રકાશ મળી રહે તેવી રીતે કેનાલનાં રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે. ખારીકટ કેનાલ ઉપર 11 જેટલા નાના બ્રિજ આવેલા છે જેને તે જ સ્થિતિમાં રાખવામાં આવશે.
સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાઓ થશે દૂર
કેનાલની આસપાસ આવેલી સોસાયટીઓના કેટલાક ગટર કનેકશન જે છે તેને મુખ્ય ડ્રેનેજ પાઈપ લાઈનમાં જોડી દેવામાં આવશે. જે તે સોસાયટીના જુના જોડાણો છે તેને મુખ્ય પાઇપલાઇનમાં જોડી અને ડ્રેનેજની સમસ્યા દૂર થશે. કેનાલના ડેવલોપમેન્ટ બાદ આજુબાજુની નીચાણવાળી સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરી શકાશે. કેનાલની મોટી જગ્યાનો ઉપયોગ સુએજ લાઇન, સ્ટોર્મ વોટર લાઇન અને રોડ નેટવર્ક નાખી કેનાલની આજુબાજુના રહેણાંકોને નડતા સુએજના ઉભરાવાના, કેનાલમાં થતી ગંદકીના તેમજ વરસાદી પાણીના નિકાલમાં થતાં વિલંબના પ્રશ્નો હલ કરી શકાશે.