રાજ્ય સરકાર દ્વારા કોર્ટની બહાર કેસોનું નિરાકરણ લાવવા માટે ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ નામની યોજના અમલી બનાવી
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
'ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું' યોજના અમલી
કોર્ટની બહાર કેસનું લાવવામાં આવશે નિરાકરણ
રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી મુકવામાં આવી છે. જે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિનું ગઠન કરવામાં આવશે. આ સમિતિમાં કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતાં બધા જ મુદ્દાઓની તપાસ બાદ નિર્ણય કરવામાં આવશે.
ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું યોજના શું છે ?
રાજ્ય સરકાર દ્વારા પારિવારિક સંબંધો સુદ્રઢ બને કૌટુંબિક વિવાદો ટળે તે માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત વિવાદોના સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરાશે. આ અંગે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. કામગીરી નિભાવતા પક્ષકારોની પારિવારીક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માન મર્યાદા જળવાઇ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. પક્ષકારો સાથે યોગ્ય કાઉન્સલીંગ કરીને કેસનો નિકાલ કરાશે. પરિવાર કાયદાકીય પ્રક્રિયાઓ આધિન હેરાન પરેશાન થાય નહિ તે ધ્યાને રાખી સુલહ કરાવવાના બને તેટલા પ્રયત્નો કરવાના રહેશે.
કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ યોજના કેવી રીતે કરશે કામ ?
આ યોજના હેઠળ કેવી રીતે કામગીરી કરવામાં આવશે તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ આ યોજનાના સુગમ અમલીકરણ હેતુ સાત સભ્યોની સમિતિનું ગઠન કરાશે.જિલ્લા કક્ષાએ હોદાની રૂએ જિલ્લા કલેકટર કે જિલ્લા ક્લેકટર દ્વારા રીસીડન્સીયલ એડીશનલ ક્લેકટર અને તાલુકા કક્ષાએ હોદ્દાની રૂએ મામલતદાર આ સમિતિના અધ્યક્ષ રહેશે.
કમિટીમાં કોને મળશે સ્થાન ?
સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના સામાજીક દૃષ્ટિએ પ્રતિષ્ઠિત અને વર્ચસ્વ ધરાવતા આગેવાનોને સ્થાન મળશે. આ ઉપરાંત કમિટીમાં બે વકીલ અને 2 આમંત્રિત સભ્ય હશે. આ ઉપરાંત દરેક કમિટીમાં ફરજિયાત એક મહિલા સભ્ય રાખવામાં આવશે. આ કમિટી બનાવવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
કોણ કરશે સમિતિના સભ્યોની નિમણૂંક ?
સમિત સંદર્ભે તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સંબધિત જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા અને તાલુકા સમિતિના સભ્યોની નિમણૂંક કરાશે. જ્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિના કાર્યો માટે જરૂરી જણાયે સ્ટાફની વ્યવસ્થા તથા સમિતિમાં આકસ્મિક રીતે કોઇ જગ્યા ખાલી પડે તો તાત્કાલિક નિમણૂંક સમિતિના અધ્યક્ષે કરવાની રહેશે. સમિતિના અધ્યક્ષની ભલામણને આધારે કે કાયદા વિભાગ પોતાની જાતે કોઇ પણ સભ્યની તેની મુદત પૂર્ણ થતા પહેલા સભ્ય પદે થી દૂર કરી શકશે, જેને દૂર કરવાના કારણો આપવાના રહેશે.
સમિતિના સભ્યોનો કેટલો હશે કાર્યકાળ ?
રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની સમિતિનું કાર્યક્ષેત્ર જિલ્લા મથકનો વિસ્તાર રહેશે અને તાલુકા કક્ષાની સમિતિનું કાર્યક્ષેત્ર તાલુકા મથકનો વિસ્તાર રહેશે. સમિતિના સભ્યોનો કાર્યકાળ સભ્ય તરીકે હોદ્દો ધારણ કરે તે તારીખથી એક વર્ષનો રહેશે. જિલ્લા કલેકટર હોદાની રૂએ કોઇ પણ સભ્યનો વધુ મુદત માટે પુન: નિયુક્ત કરી શકશે. પરંતુ સમિતિના સભ્યના કાર્યકાળની મુદ્દત એક વર્ષથી વધુ નિયુક્ત કરવાની સત્તા કાયદા વિભાગની રહેશે.
સમિતિના બિનસરકારી સભ્યોને કેટલુ મળશે વેતન ?
સમિતિના માત્ર બિનસરકારી સભ્યોને દરેક કેસને સાંભળવા માટે આયોજીત કરેલ હોઇ તેના પ્રતિદિન રૂ.૧૫૦૦/- મળવાપાત્ર થશે, જેમા વધુમાં વધુ પ્રતિમાસ રૂ.૮૦૦૦/- સુધી જ બિનસરકારી સભ્યોને માનદ વેતન મળવાપાત્ર રહેશે. આ સમિતિ કેસોના ભારણના આધારે માસમાં જરૂર જણાય તેટલી વાર મળી શકશે. સમિતિના બેઠકની તારીખ અને સમય અગાઉથી નક્કી કરીને અરજદાર/પક્ષકારોને જાણ કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ સમિતિની બેઠક વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા સેવા સદનમાં કરવાની રહેશે. જ્યારે તાલુકા કક્ષાની સમિતિની બેઠક વ્યવસ્થા તાલુકા મામલતદાર દ્વારા તાલુકા સેવા સદનમાં કરવાની રહેશે.
સમિતિ સમક્ષ કરેલી રજૂઆત રહેશે ખાનગી
સમિતિ સમક્ષ પક્ષકારે કરેલ રજુઆત ખાનગી રાખવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીનો કોઇ ન્યાયિક કે અર્ધન્યાયિક કાર્યવાહીમાં પુરાવા કે અન્ય કોઇ રીતે ઉપયોગ થઇ શકશે નહી. કેસના આખરી નિકાલ અંગેની માહિતી માસિક રિપોર્ટમાં કાયદા વિભાગને મોકલવાની રહેશે.આ સમિતિ જરૂર જણાય તો પોલીસની મદદ લઇ શકશે અને સંબધિત જિલ્લાના પોલીસ અધિક્ષકે સમિતિને જરૂરી મદદ મળી રહે તેની ખાત્રી કરવાની રહેશે.
કેવી રીતે કેસ રજિસ્ટર કરવો ?
તો વધુમાં તેઓએ કેસ રજીસ્ટર કરાવાની પધ્ધતિ જણાવતાં કહ્યું કે, અરજદાર કે પક્ષકારની અરજીન વિશે રજીસ્ટરમાં પૂર્ણ વિગત સાથે નોંધવાનું રહેશે.અરજીનું જે પણ પરિણામ આવેલ હોય તે પણ ટુંકી વિગત સાથે નોંધવાનું રહેશે. સંબધિત જિલ્લાના પોલીસ અધિક્ષક અથવા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી સામાજિક પ્રશ્ન સમજાવટ માટે મોકલી શકશે.
સમિતિને ખર્ચની રકમ ક્યાંથી મળશે ?
તો અંતે તેઓએ આ અંગે વધુમાં જણાવ્યું કે, સમિતિ સંદર્ભે કરવામાં આવતો ખર્ચ જિલ્લા અને તાલુકા કક્ષાએ વખતોવખત ફાળવેલ ગ્રાન્ટની રકમમાં ઉધારવાનો રહેશે. સરકારશ્રીના વર્તમાન નિતિ નિયમ પરિપત્ર તથા નાણાં વિભાગે બહાર પાડેલ માર્ગદર્શિકાઓનું પાલન કરી નાણાંકીય ઔચિત્ય જળવાય તે રીતે નાણાં ખર્ચ કરવા અને તેનો હિસાબ સમિતિના અધ્યક્ષે રાખવાનો રહેશે.