સારા વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના મુખ્ય જળાશયોમાં ભરપૂર પાણીની આવક થતાં ડેમો પણ છલકાયા છે. જેના કારણે વાત્રકના કિનારે આવેલું સ્વયંભૂ જૂના રક્ષેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
માલપુરના જૂના રક્ષેશ્વર મહાદેવની જળ સમાધિ
મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ પાણીમાં છલોછલ
વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે નદી-જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે અરવલ્લીના માલપુરમાં આવેલું જૂના રક્ષેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં આવેલ હનુમાનજી મંદિર, ગાયત્રી મંદિર પણ પાણીમાં ગરકાવ થયા છે. જેના લીધે ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વાત્રક નદીના કિનારે આવેલું છે જૂના રક્ષેશ્વર મહાદેવનું મંદિર
ચોમાસાની આ ઋતુમાં અરવલ્લી જિલ્લામાં 100 ટકા કરતા વધારે વરસાદ થયો છે. સારા વરસાદને કારણે જિલ્લાના મુખ્ય જળાશયોમાં ભરપૂર પાણીની આવક થતાં ડેમો પણ છલકાયા છે. જિલ્લાના માઝૂમ, મેશ્વો, વૈડી અને વારાસી ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ 98 ટકા ભરાયો છે. ત્યારે માલુપરની વાત્રક નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નદીના કિનારે આવેલું સ્વયંભૂ જૂના રક્ષેશ્વર મહાદેવનું મંદિર જળમગ્ન થયું છે.
મહાદેવ મંદિર જળમગ્ન
આ ઉપરાંત મંદિરમાં પરિસરમાં આવેલા હનુમાનજી અને ગાયત્રી માતાના મંદિર પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે ભગવાન ભોળાનાથે જળ સમાધિ લીધી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, જ્યારે વાત્રક ડેમ ઓવરફ્લો થાય છે. ત્યારે રક્ષેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભગવાન ભોળાનાથ ચાર માસ સુધી જળમય સ્થિતિમાં રહે છે, ત્યારે ભગવાનની જળ સમાધિથી ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગુજરાતના દ્વારકા, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.