સુરતમાં ગણેશોત્સવને લઇને આયોજકોએ ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત, સુરત પોલીસ તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામું
ગણેશ ઉત્સવને લઈને જાહેનામું
9 ફૂટથી ઉંચી પ્રતિમા પર પ્રતિબંધ
POPની પ્રતિમા ઓવરામાં જ વિસર્જિત કરાશે
શ્રાવણ માસ હવે નજીકમાં જ છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો માસ તે કહેવુ ખોટુ નહી. કારણ કે સાતમ, આઠમ, જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા મોટા મોટા તહેવારો આવે છે. શ્રાવણ બાદ જો કોઇ તહેવાર આવતો હોય તો તે છે ગણેશોત્સવ. આ વખતે ગણેશોત્સવને લઇને લોકોમાં એક અલગનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે ધામધૂમથી જે ઉત્સવ ઉજવી શકાતો ન હતો તે ધૂમધામથી ઉજવાય તેની રાહ જોવાઇ રહી છે. ત્યારે સુરતમાં ગણેશોત્સવને લઇને તંત્ર દ્વારા મહત્વનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
સુરતમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ પ્રતિમા પર પ્રતિબંધ
સુરતમાં ગણેશ પંડાલમાં આ વખતે 9 ફૂટથી વધુ ઊંચાઇની એક પણ મૂર્તિ જોવા મળશે નહી. કારણ કે સુરત પોલસી તંત્ર દ્વારા 9 ફૂટથી ઊંચી ભગવાન ગણેશની પ્રતિમા બનાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે POPની 5 ફૂટથી મોટી ગણેશ પ્રતિમા બનાવવા પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત મૂર્તિ વિસર્જનના દિવસે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પર્યાવરણને ધ્યાને રાખીને પીઓપીની મૂર્તિનું વિસર્જન કુત્રિમ ઓવારામાં કરી શકાશે.
ગણેશોત્સવને લઇ રાજ્ય સરકાર દ્વારા શ્રદ્વાળુઓને મોટી ભેટ
તો આ તરફ રાજ્ય સરકારે આ વખતે ગણેશોત્સવને લઈને લોકોની શ્રદ્વાને ધ્યાને રાખીને મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. સાથે જ સાર્વજનિક સ્થળો પર ગણેશની સ્થાપના કરવા પરવાનગી આપી છે. મહત્વનું છે કે લોકોની શ્રદ્વાને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોવિડની સ્થિતિને લઇ રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. જો કે, હાલ કોરોના પ્રકોપ ઓછો થતાં રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જો કે, મૂર્તિ બનાવવા અને વિસર્જન કરવા સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સાથે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પણ પાલન કરવાનું રહેશે.