સુરત માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીની પત્રકાર પરિષદ
'ટુંક સમયમાં સી પ્લેન શરૂ થઇ જશે'
'એરપોર્ટ ના બદલે ખેતરોમાં નાના પ્લેન ઉતરી શકશે'
સુરત માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદી દ્વારા સુરતમાં નવા સર્કિટ હાઉસ ફેસ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું, પલસાણા વિશ્રામગૃહનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તેઓએ પત્રકાર પરિષદ સંબોધતા એક મહત્વની વાત કહી હતી. તેઓએ જણાવ્યુ કે આગામી દિવસોમાં એરપોર્ટને બદલે ખેતરોમાં પણ નાના પ્લેન ઉતારી શકાશે
ખેતરમાં લેન્ડ થશે પ્લેન
કોઇ નેતા કે મહાન હસ્તીનું જ્યારે આગમન થાય ત્યારે ખાસ હેલિપેડની સુવિધા તૈયાર કરવામાં આવે છે પરંતુ હવે તેમ કરવાની જરુર નહી રહે. કારણ કે નાના વિમાન હશે તો તેને ખેતરમાં જ ઉતારી શકાશે તેમ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. આમ તો આપણે એરપોર્ટ અને હેલિપેડ પર પ્લેન લેન્ડ થતા જોયા છે ત્યારે હવે પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરીને નવા જ સંકેતો આપ્યા છે. સાથે એમ પણ જણાવ્યુ કે આવનારા દિવસોમાં 2 સીટર અને 4 સીટર પ્લેનનો જમાનો આવવાનો છે.
સી-પ્લેન ટૂંક સમયમાં થશે શરુ
અમદાવાદથી કેવડિયા સી પ્લેનની ઠપ્પ થયેલી સેવા ટૂંક સમયમાં શરુ થશે તેમ માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યુ હતું. તેઓએ જણાવ્યુ કે સાબરમતીથી કેવડિયા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ટૂંક જ સમયમાં સી-પ્લેન ફરીથી શરૂ થઇ જશે. મહત્વનુ છે કે દેશમાં પ્રથમ વાર અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સી-પ્લેન સેવા શરૂઆત કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર-2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સફર કરીને વિવિધત રીતે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ સી-પ્લેન સેવા નિયમિત ચાલતી ન હતી.છેલ્લે સી પ્લેન 8 એપ્રિલ 2021ના રોજ અમદાવાદથી કેવડિયા પહોંચ્યુ હતું. 17 એપ્રિલે સી-પ્લેન અમદાવાદથી મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યુ હતું. જો કે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ 50 વર્ષ જૂનું હોવાનું જાણ થતા પ્રવાસીઓ પણ આ સી પ્લેનમાં બેસવા માટે મુંઝવણ અનુભવતા હતા.અત્યાર સુધીમાં 4 વાર મેંટેનસ માટે સી પ્લેન ને મુક્લવામાં આવ્યું છે.
ગુજરાતની અન્ય જગ્યાએ પણ શરુ થશે સી-પ્લેન
અગાઉ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, નવી કનેક્ટિવિટી વધશે, સરકાર અને વિભાગ વચ્ચે સૈદ્ધાંતિક ચર્ચા થઇ છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ, SoU કેવડિયા અને સુરતના પાણીનો કોઝવે આ ચાર જગ્યાએથી કનેક્ટિવીટી બનાવી સી પ્લેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે માટેના સર્વેનો હુકમ કર્યો છે. સુરતથી ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી થશે. 9 સીટનું સી પ્લેન શરૂ થશે. ભુજથી અમદાવાદ 50 સીટનું સી પ્લેન શરૂ કરાશે તેમ જણાવ્યું હતું,