પરેશાની વધારી રહ્યા છે કેરળ કોરોના કેસના આંકડા, દેશના કુલ કોરોના કેસમાંથી 58% કેસ માત્ર કેરળના
કેરળમાં કોરોનાનો કોહરામ
છેલ્લા 24 કલાકમાં 32,801 નવા કેસ મળ્યા
દેશમાં 44,658 નવા કોરોના કેસ સામે આવ્યા
કેરળમાં કોરોના વાયરસની મહામારીની ગતિ વધી રહી છે. રાજ્યમાં સતત બીજા દિવસે 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કેરળની પિનારાયી વિજયન સરકારે ફરી એકવાર લોકડાઉનની કડકતા જારી કરવાની સૂચના આપી છે. હાલમાં, લોકડાઉન ફક્ત રવિવારે જ લાદવામાં આવ્યું છે. થોડા અઠવાડિયા પહેલા જ કેરળ સરકારે પ્રતિબંધ હટાવી લીધો હતો. હવે ફરી વીકેન્ડ લોકડાઉન એટલે કે રાજાના દિવસે ફરજીઆત લોકડાઉનની જાહેરાત કરવાં આવી છે હકીકતમાં, શુક્રવારે કેરળમાં કોરોનાના 32,801 નવા કેસ નોંધાયા હતા. 20 મે પછી બીજી વખત રાજ્યમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે.
લોકો હોમ આઇસોલેશનમાં રહેતા નથી : કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે
આગામી તહેવારો પહેલા જ કેરળમાં કોરોનાની સ્થિતિ કથળી રહી છે. અગાઉ, કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે રાજ્યમાં વધી રહેલા રોગચાળા માટે હોમ આઇસોલેશનને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોટાભાગના કોરોના સંક્રમિત લોકોને ઘરમાં અલગ રાખવામાં આવી રહ્યા છે. પરિવારના એક સભ્યને કારણે, આખો પરિવાર ચેપગ્રસ્ત થઈ રહ્યો છે. લોકો હોમ આઇસોલેશનના નિયમોનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા નથી.
મુખ્યમંત્રી પિનારાયી વિજયને સરકાર સામે થતાં આરોપોને ફગાવ્યા
મુખ્યમંત્રી પિનારાયી વિજયને પણ કેરળના કોવિડ મેનેજમેન્ટ પર સતત હુમલાઓને "ગેરવાજબી" ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ રોગચાળા સામે લોકોની લડાઈને નબળી પાડવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો છે. મુખ્યમંત્રીએ પાર્ટીના મુખપત્રની નવીનતમ આવૃત્તિમાં લખ્યું છે કે, "આ પગલાંઓ સરકાર સામે જાહેર લાગણીઓને ઉશ્કેરવા માટે હતા અને આ રીતે એવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી કે જેમાં વાયરસ ચેપ સામેની લડાઈને લોકો હળવાશથી જુએ, કેરળમાં ઓક્સિજનની ઉણપથી એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હોવાનો દાવો પણ કર્યો છે.
કેરળ કેટલું જવાબદાર
જો દેશના કુલ કેસમાંથી કેરળની સંખ્યાને હટાવી દેવામાં આવે તો દેશમાં પ્રતિ લાખ પર 11 કેસ જ સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં દરરોજ જેટલા નવા કોરોના વાયરસનાં કેસ નોંધાય છે તેમાં મોટા ભાગનાં કેસ કેરળમાંથી સામે આવી રહ્યા છે. કેરળમાં કોરોના વાયરસનાં કેસ છેલ્લા કેટલાય સમયથી ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા જેના કારણે ભારતમાં ત્રીજી લહેરને લઈને ચિંતા વધી ગઈ છે. કેરળની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. આજે દેશમાં 44,658 નવા કોરોના કેસ સામે આવ્યા હતા.
વધતાં કોરોના કેસોએ વધારી ચિંતા, એક્શનમાં આવ્યું ગૃહમંત્રાલય
ભારતમાં કોરોના વાયરસને લઈને છેલ્લા એક મહિનાથી થોડી રાહત હતી પરંતુ હવે કેરળ સહિતનાં રાજ્યોમાં વધતાં કેસને જોતાં ફરી ચિંતામાં વધારો થયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિને જોતાં કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે આ બંને રાજ્યોને પ્રતિબંધ વધારવાની સલાહ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ બંને રાજ્યોને સલાહ આપી છે કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવે. ત્યારે હવે પિનારાયી વિજયન સરકારે ફરી એકવાર રવિવારે લોકડાઉન કરવા આદેશ આપી દીધા છે.