આજના સમયમાં મલ્ટિનેશનલ કંપનીઓનું રાજ છે અને કંપની 24 કલાક ચાલતી હોવાથી કર્મચારીઓએ શિફ્ટ વાઇઝ કામ કરવું પડે છે. જો તમે પણ મોટાભાગે નાઈટ શિફ્ટમાં કામ કરો છો તો તેના કારણે ઊંઘમાં કમી અને રાતે જાગવાથી બોડી ક્લોક ડિસ્ટર્બ થાય છે અને તેના કારણે ઘણી બીમારીઓ તમને ઘેરી શકે છે. નાઈટ શિફ્ટમાં કામ કરવાથી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, શ્વાસના રોગો અને નર્વસ સિસ્ટમ રિલેટેડ ડિસીઝ થઈ શકે છે.
શિફ્ટમાં કામ કરતાં લોકોને થાય છે અનેક રોગો
રાતે જાગવાથી સર્કાડિયન રિધમ ડિસ્ટર્બ થાય છે
આવી ભૂલો શરીર પર કરે છે ખરાબ અસર
ક્યારેક મોર્નિંગ શિફ્ટ તો ક્યારેક નાઇટ શિફ્ટમાં કામ કરતા હો તો તમારા સ્વાસ્થ્ય માટે બહુ જોખમી સાબિત થઈ શકે છે. આ રીતે કામ કરવાથી સ્થૂળતા તો વધે જ છે પણ સાથે ડાયાબિટીસ અને અન્ય પ્રકારની મગજની બીમારીઓ પણ થઈ શકે છે.
એક રિસર્ચમાં પ્રકાશિત શોધ મુજબ, જે વ્યક્તિ આખી રાત કામ કરે છે તેમના ડીએનએને નુકસાનનો ખતરો રાતે કામ ન કરનારા લોકોની તુલનામાં 30 ટકા વધુ હોય છે. જે લોકો રાતે કામ કરે છે અને પૂરતી ઊંઘ લઈ શકતા નથી તેમના ડીએનએ નુકસાનનો ખતરો 25 ટકા વધી જાય છે. શિફ્ટમાં કામ કરનારા લોકોને અનેક પ્રકારની માનસિક બીમારીઓ પણ થઈ શકે છે.
વારંવાર શિફ્ટનો સમય બદલાવાથી લોકોની ઊંઘવાની અને ઊઠવાની ટેવ પર અસર પડે છે. જે લોકો શિફ્ટમાં કામ કરે છે તેમનામાં સ્થૂળતા અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે. આ ઉપરાંત, લોકોમાં હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ જેવી સમસ્યાઓ થવા લાગે છે. રેગ્યુલર બેસિસ પર આ રીતે બદલાતી શિફ્ટમાં કામ કરતા લોકો પર ડાયાબિટીઝનું રિસ્ક સૌથી વધુ હોય છે.
જે લોકો અલગ-અલગ શિફ્ટમાં અને ખાસ કરીને નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય છે તેમને રાત્રે જાગવા માટે કંઈ ને કંઈ ખાતાં રહેવું પડે છે, જેના કારણે અનહેલ્ધી વસ્તુઓ વધુ ખવાય છે અને પછી તે અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ પણ નોતરે છે. સર્કાડિયન રિધમ ડિસ્ટર્બ થવાને કારણે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ પણ થાય છે અને શરીરના પાચનતંત્ર પર અસર પડે છે.