વડોદરામાં વધતા ઢોરોના આંતકને લઈને સીઆર પાટીલે વડોદરાના મેયર કેયુર રોકડિયાને ટકોર કરી છે. ત્યારે આ મામલે વડોદરાના મેયરે મોટું નિવેદન આપ્યું છે.
વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી સામે આવ્યો
સી.આર.પાટીલે વડોદરાના મેયરને કરી ટકોર
વડોદરાના મેયરે સમગ્ર મામલે આપ્યું મોટું નિવેદન
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો આંતક વધ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે. જોકે રખડતા ઢોરોની સામે વડોદરા પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાંજ નવા યાર્ડ વિસ્તારમાં એક વૃદ્ધા ને ગાયે અડફેટે લીધી હતી.
વૃદ્ધા હોસ્પિટલમાં સારવાર હેઠળ
વૃદ્ધાને ગંભીર ઈજા પહોચતા તેને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેને લઈને સી.આર. પાટીલ દ્વારા વડોદરાના મેયરને ટકોર કરવામાં આવી હતી. જે મામલે મેયર કેયુર રોકડીયાએ મોટું નિવેદન આપ્યું છે.
રાજ્યમાં સૌથી વધારે ઢોર વડોદરા પાલિકાએ પકડ્યા: મેયર
વડોદરાના મેયરે સમગ્ર મામલે એવું નિવેદન આપ્યું છે કે સી.આર.પાટીલ સાહેબ પાસે કદાચ વડોદપરા પાલિકાએ કરેલી કામગીરીની આંકડા નહી હોય. સાથેજ તેમણે કહ્યું પાટીલ સાહેબની ટકોરને અમે પોઝિટિવ રૂપે લઈશું. મેયર કેયુર રોકડિયાએ સમગ્ર મામલે કહ્યું કે આખા રાજ્યમાં સૌથી વધુ ઢોર વડોદરા પાલિકાએ પકડ્યા છે.
20 દિવસમાં 690 ઢોર પકડવામાં આવ્યા
વધુમાં કેયુર રોકડિયાએ નિવેદન આપતા કહ્યું કે છેલ્લા 20 દિવસમાંજ શહેરમાં પાલીકાની ટીમ દ્વારા 690 ઢોર પકડવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમા 4800 જેટલા ઢોરોનું ટેગિંગ પણ કરવામાં આવ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે 28 પશુપાલકોની સામે વડોદરા પાલીકા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે.
SRPની ટુકડીની પણ મદદ લેવાશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે વડોદરા મેયર કેયુર રોકડિયાએ એવો જવાબ પણ આપ્યો છે કે આગામી સમયમાં 4ના બદલે 9 ટીમો બનાવીને ઢોર પકડવાની કામગીરી વધારવામાં આવશે. ઉપરાંત તેમણે કહ્યું કે સમગ્ર મામલે એક SRPની ટુકડીની પણ મદદ લેવામાં આવશે.