જે યુવતીનું તેના પરિવાર સાથે મિલન થયું છે. તે મુળ છત્તીસગઢના સાસાપરીની રહેનારી છે અને ચાર વર્ષ પહેલા રાજુલા બસ સ્ટેશન પર મળી આવી હતી.
માનવ મંદિરમાં માવતર મિલન
4 વર્ષે દીકરીનું કરાવ્યું પરિવાર સાથે મિલન
મનોદિવ્યાંગ દીકરી 4 વર્ષ પહેલા પડી હતી વિખુટી
હવે વાત કરવી છે એક દીકરીના પોતાના મા-બાપ સાથેના મિલનની. જે દીકરી માનસિક રીતે અસ્થિર હતી અને ભટકતી-ભટકતી છત્તીસગઢથી અમરેલી પહોંચી ગઈ હતી. પરંતુ સંત અને સુરા ની ભૂમિનીમાં આવતા જ તે સાજી થઈ અને રાજુલાના માનવ મંદિર આશ્રમે આ દીકરીનું તેના માતા-પિતા સાથે 4 વર્ષે મિલન કરાવ્યું. કેવી રીતે શક્ય બન્યું આ જુઓ આ રિપોર્ટમાં.
રાજુલા પોલીસને બસ સ્ટેશન પરથી મળી હતી યુવતી
સંત અને સુરાની ભૂમિ એટલે કે, સૌરાષ્ટ્ર. અહીં બારેમાસ લોકસેવાના કાર્યો થાય છે તે પછી ભૂખ્યાને ભોજન હોય, નિર્વસ્ત્રને વસ્ત્રોનું દાન હોય કે પછી દિવ્યાંગોની સેવાનું કાર્ય હોય. આવી જ એક સેવા અને સારવારથી આજે 4 વર્ષ પછી એક યુવતીનું તેના પરિવાર સાથે મિલન થયું છે. ઘટના રાજુલાના માનવમંદિર આશ્રમની છે. જ્યાં રાજુલા પોલીસને મળી આવેલી મનોદિવ્યાંગ યુવતી છેલ્લા ચાર વર્ષથી રહેતી હતી. આશ્રમમાં સારી સારવાર અને યોગ્ય માર્ગદર્શનના કારણે યુવતીની યાદશક્તિ પાછી આવી. આશ્રણના સંતશ્રીને યુવતીએ પોતાના પરિવારનું સરનામું અને નામ આપ્યું. જે બાદ પોલીસની મદદ દ્વારા આ દીકરીનો તેના પરિવાર સાથે ભેટો કરાવાવમાં આવ્યો છે.
જે યુવતીનું તેના પરિવાર સાથે મિલન થયું છે. તે મુળ છત્તીસગઢના સાસાપરીની રહેનારી છે અને ચાર વર્ષ પહેલા રાજુલા બસ સ્ટેશન પર મળી આવી હતી. તે દરમિયાન પોલીસે તેની પુછપરછ કરી તો કોઈપણ પ્રકારનો જવાબ ન મળ્યો. ત્યાર બાદ પોલીસે માનસિક રીતે અસ્થિર આ યુવતીને સાવરકુંડલાના સણોસરા ખાતે આવેલ માનવમંદિરમાં દાખલ કરાવી હતી.
4 વર્ષે યુવતીની યાદશક્તિ આવી પાછી
આ આશ્રમમાં નિરાધાર 58 મનોદિવ્યાંગ મહિલાઓની સેવા કરવામાં આવે છે. જે વિવિધ ભાષાની અને વિવિધ પ્રાંતની છે. આ હિન્દી ભાષી મહિલાને આશ્રમના પૂજ્ય ભક્તિબાપુ દ્વારા દકુના જેવું હુલામણા નામ આપવામાં આવ્યું હતું. ચાર વર્ષ જેવો સમય આ આશ્રમમાં વિતાવ્યા બાદ આ મહિલાની ધીમે ધીમે યાદશક્તિ પરત આવી અને તેમણે એક દિવસ પોતાની ભાષામાં તેનું નામ તેનું રાજ્ય અને માતા-પિતાની વિગત આપી. બાપુએ વિગતો નોંધી રાજુલા પોલીસનો સંપર્ક કર્યો. અને આ રીતે આ મહિલાના પરિવાર સાથે તેનો ભેટો કરાવ્યો. દીકરી સાથે મિલન થતા જ તેના પિતા હરખભેર તેને ભેટી ગયા હતા.. તેમની ખુશીનો કોઈ પાર ન હતો..
પિતા-ભાઈ સાથે યુવતી છત્તીસગઢ પરત ફરી
મહત્વનું છે કે, માનવ મંદિર આશ્રમ દ્વારા એક વર્ષના જ સમયગાળામાં 90 જેટલી મનોદિવ્યાંગ દીકરીઓને સાજી કરી પોતાના ઘરે પરત મોકલી છે. આશ્રમને શરૂ કરનાર ભક્તિ બાપુને આજે ગૌરવ અને આનંદ એ વાતનો છે કે, તેમણે જે હેતુથી 8 વર્ષ પહેલા આ માનવ મંદિર આશ્રમ શરૂ કર્યો હતો. તે ધીમે-ધીમે પૂર્ણ થતો જાય છે. ત્યારે વીટીવી સંત અને સૂરાની ભૂમિ પર શરૂ થયેલા આ કાર્યને વંદન કરે છે.