22 માર્ચથી માઁ દુર્ગાની આરાધનાનો પર્વ શરૂ થશે. નવરાત્રીનું શુભ મુહૂર્ત, વ્રતના નિયમો, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે આ લેખમાં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત.
નવ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક કરો માતાની આરાધના.
ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ના કરવું?
22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પહેલા દિવસે પ્રતિપદા તિથિ પર કળશ સ્થાપનાની સાથે નવરાત્રી શરૂ થશે અને રામનવમીના દિવસે 30 માર્ચના રોજ સમાપ્ત થશે. હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રી શરૂ થવાની સાથે હિંદુ વિક્રમ સંવત 2080ની શરૂઆત થશે. નવરાત્રીના નવ દિવસ સુધી માઁ દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી સાફ સફાઈ અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
માનવામાં આવે છે કે, નવ દિવસ સુધી માઁ દુર્ગાની આરાધના કરીને આશીર્વાદ મેળવવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરવાના ખાસ નિયમ હોય છે, જેનું પાલન કરવામાં આવે છે. કોઈપણ ભૂલ વગર પૂજાની યોગ્ય વિધિ કરવામાં આવે તો, તેનું ફળ પ્રાપ્ત થાય છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ અને શું ના કરવું તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ચૈત્ર નવરાત્રી તિથિ અને કળશ સ્થાપનાની પૂજા વિધિ
પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લપક્ષની પ્રતિપદા તિથિ 21 માર્ચ 2023ના રોજ રાત્રે 10:52 વાગ્યે પ્રારંભ તઈ જશે, જે 22 માર્ચ 2023ના રોજ રાત્રે 08:20 વાગ્યા સુધી રહેશે. નવરાત્રીના પહેલા દિવસ 22 માર્ચ 2023ના રોજ કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6:23 વાગ્યાથી લઈને 7:32 વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર નવરાત્રીના દિવસે શું કરવું
ચૈત્ર નવરાત્રી શરૂ થયા બાદ સતત 9 દિવસ સુધી આસપાસના મંદિરે જઈને સવાર સાંજ માઁ દુર્ગાના દર્શન કરો અને દુર્ગા ચાલીસાના પાઠ કરો. નવરાત્રીના નવ દિવસ સુધી સાફ સફાઈનું ધ્યાન રાખો અને બ્રહ્મચર્યનું પાલન કરો. આ 9 દિવસ સુધી સવાર સાંજ માઁ દુર્ગાની આરાધના કરો અને જળ અર્પણ કરો. આ પ્રકારે કરવાથી માઁ દુર્ગા પ્રસન્ન થાય છે, શક્ય હોય તો 9 દિવસ સુધી વ્રત કરો અને ફળાહાર જ ગ્રહણ કરો.
નવરાત્રીના નવ દિવસ સુધી માઁ દુર્ગાને શણગાર કરો અને સુહાગની તમામ વસ્તુઓ અર્પણ કરો. આઠમના દિવસે કન્યા પૂજન કરો અને કન્યાઓને ભોજન કરાવો, ત્યારબાદ તેમને ભેટ આપો. આ પ્રકારે કરવાથી માઁ દુર્ગા પ્રસન્ન થાય છે. નવરાત્રીના નવ દિવસ સુધી માઁ દુર્ગાની સામે અખંડ દીવો પ્રગટાવો. આ અખંડ દીવો નવ દિવસ સુધી બુઝાવો ના જોઈએ.
નવરાત્રીમાં શું ના કરવું જોઈએ?
નવરાત્રી દરમિયાન લસણ, ડુંગળી ના ખાવા જોઈએ, વઘાર ના કરવો જોઈએ અને શાકાહારી ભોજન જ ખાવુ જોઈએ. આ નવ દિવસ સુધી વાળ અને નખ ના કાપવા જોઈએ, કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ કરવાનું ટાળવું જોઈએ.