ગુજરાતમાં મેઘમહેર બાદ મેઘ કહેર બનીને સામે આવી રહ્યો છે, રાજ્યમાં સાર્વકત્રિક વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારે વરસાદને કારણે નદી નાળા, સરોવર ડેમ સહિત અનેક જળાશયો છલકાયા છે ત્યારે અમરેલી જાફરાબાદના દરિયમાં ખલાસીઓને એક બોટ ડૂબી જવાની ઘટના બની છે.
દરિયો તોફાની બનતા બોટ ડૂબી
ગુજરાત પર તોડાતા શાહીન વાવાઝોડાના ખતરાના કારણે હાલ દરિયામાં ભારે પવન ફુકાઈ રહ્યો છે તેમજ દરિયામાં તોફાન જેવી પરિસ્થિતિ સર્જાતા માછીમારોને પણ પરત બોલાવી દેવામાં આવ્યા છે ત્યારે મધદરિયે ખલાસીઓની બોટ ડૂબ્યા હોવાની ઘટના બની હતી. 70 નોટીકલ માઈલ દૂર સમુદ્રમાં બોટ ગરકાવ થતા 8 જેટલા માછીમારોનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયું હતું.. ભારે પવન અને દરિયાના મોજાને કારણે મહાકાળ નામની બોટ દરિયામાં ગરકાવ થઈ હતી. જો કે કોસ્ટગાર્ડ અને મરીન સિક્યુરિટીના જવાનોએ બોટમાં સવાર તમામ લોકોનો જીવ બચાવ્યો હતો.
70 નોટીકલ માઈલ દૂર સમુદ્રમાં બોટ ડૂબી
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ગત રાત્રિથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જે આજે પણ યથાવત્ રહ્યો છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં ગઈ કાલે સવાર 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ જાફરાબાદ તાલુકામાં 115 મિમી વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે રાજુલા તાલુકામાં 95 મિમી, લાઠી 38 મિમી, બાબરા 31 મિમી, ખાંભા 28 મિમી, સાવરકુંડલા 36 મિમી, લીલીયા 85 મિમી, અમરેલી 54 મિમી, વડિયામાં 21 મીમી અને ધારીમાં 09 મિમી વરસાદ નોંધાયો છે
8 માછીમારોને બચાવી લેવાયા
મધદરિયે માછીમારોની બોટ ડૂબવાની ઘટનાની જાણ થતા જ તેમનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બોટ પર સવાર 8 માછીમારોને અન્ય બોટના માછીમારોએ બચાવી લીધા હતા. તંત્ર દ્વારા માછીમારોને પરત બોલાવાતા માછીમારો પરત આવી રહ્યા હતા ત્યારે બોટે જળસમાધિ લીધી હતી. જો કે, અન્ય બોટ નજીકમાં હોવાથી બોટ પર સવાર તમામ માછીમારોને બચાવી લીધા હતા.હાલ તો જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ ગુલાબ વાવાઝોડાની અસરના પગલે અમરેલી સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામા આવ્યું છે