બનાસકાંઠામાં એક્સપાઈરી ડેટ વિનાનો દવાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ઉઠ્યો છે. સમગ્ર મામલે લોકોની માગ છે કે જેણે દવાઓ ફેકી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સરકારી દવાનો જથ્થો કચરામાંથી મળી આવ્યો
દવાનો જથ્થો એક્સપાઈરી ડેટ વગરનો
સરકારી હોસ્પિટલ દ્વારા જથ્થો ફેકાયો હોવાનું અનુમાન
કોરોના મહામારીને કારણે લોકોની હાલત ઘણી ખરાબ છે. લોકોને યોગ્ય સુવીધા મળી રહે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા સમયે બનાસકાંઠામાં સરકારી દવાનો જથ્થો કચરામાં પડેલો મળી આવ્યો જેના કારણે આ મુદ્દો ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ જથ્થો કોણ ફેક્યો છે તે માહિતી હજુ સામે નથી આવી.
2022ની એક્સાપાઈરી ડેટ
સાંભળીને તમને નવાઈ લાગશે કે જે દવાનો જથ્થો કચરામાંથી મળ્યો છે. તેની એક્સપાઈરી ડેટ પણ 2022ની બતાવી રહી છે. એટલે કે આ દવા દર્દીઓને કામ લાગી શકે તેવી છે. તેમ છતા તેને કચરાના ઢગલામાં ફેકી દેવામાં આવી છે.
દવાનો જથ્થો સરકારી હોસ્પિટલનો હોવાનું અનુમાન
એક તરફ ગરીબો દવા મેળવવા માટે વલખા મારતા હોય છે તેમ છતા તેમને દવા નથી મળતી. તો બીજી તરફ દવાનો જથ્થો અહીયા કચરામાંથી મળી આવ્યો છે. ધાનેરા અને સમારવાડા વચ્ચેથી આ દવાનો જથ્થો મળી આવ્યો છે. જેમા સરકારી હોસ્પિટલ દ્વારાજ આ દવાનો જથ્થો ફેકવામાં આવ્યો છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
યોગ્ય તપાસ થાય તેવી લોકોની માગ
જે દવાઓ કચરામાંથી મળી છે તે દવાઓ સરકારી હોસ્પિટલની દવાઓ હોવાનું સામે આવ્યું છે. મોટી પ્રમાણમાં દવાનો જથ્થો કચરાના ઢગલામાંથી મળવાને કારણે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેથી સ્થાનિકોની માગ છે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે. સાથેજ જવાબદાર લોકો સામે યોગ્ય પગલા લેવામાં આવે.
જવાબદાર સામે ક્યારે લેવાશે પગલા ?
ઉલ્લેખનીય છે કે આ બનાવને અનુલક્ષીને ઘણા સવાલો ઉભા થયા છે. જેમા પહેલો સવાલ તો એ છે કે સરકારી દવાનો જથ્થો કચરામાં કેમ નાખવામાં આવ્યો. બીજુ કે દવાનો જથ્થો ગુમ થયો હોય તો કોઈ પણ અધિકારી દ્વારા ફરિયાદ કેમ ન કરવામાં આવી. સાથેજ જવાબદાર લોકો સામે આરોગ્ય વિભાગ કેટલા સમયમાં પગલા ભરશે તે સવાલ પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.