બે દિવસ પહેલાં અમદાવાદ રાયપુર ભજીયા હાઉસ પાસે એક એક્ટિવાનો અકસ્માત થયો હતો. જેમાં ઈજાગ્રસ્ત એક વૃદ્ધ પાસેથી 1.30 લાખ રુપિયા 108નાં કર્મચારીને મળ્યાં હતાં. આ કર્મચારીએ આ પૈસા મળ્યાં બાદ જે કર્યુ તે જાણીને તમને થશે કે હજુ પણ દુનિયામાં ઈમાનદારી ખતમ નથી થઈ.
108નાં કર્મચારીએ ઈમાનદારી બતાવી, આ કર્મચારીએ ત્રીજી વખત આમ કર્યું છે
વેપારીનો રાયપુર ભજીયા હાઉસ પાસે અકસ્માત થયો હતો
એવું તો શું બન્યું પરિવારજનો વિચારમાં પડ્યાં
108માં સારવાર અર્થે લઈ જવામાં આવતાં ઘણાં કેસમાં દર્દીનાં ખિસ્સામાં કે તેમની પાસે રહેલી બેગમાં કિંમતી વસ્તુઓ તથા રોકડ રકમ રહેતી હોય છે. ત્યારે 108નો સ્ટાફ આ વસ્તુઓ હોસ્પિટલને હેન્ડઓવર કરતો હોય છે. આવાં સંજોગોમાં ઘણીવાર કિંમતી સામાન ખોવાઈ જવાની ભીતી રહેતી હોય છે. આ વખતે 108નાં એક કર્મચારીએ કંઈક આવુ કરતાં દર્દીનાં પરિવારજનો વિચાર કરતાં થઈ ગયાં હતાં.
એક્ટિવાનાં રોડ અકસ્માતમાં વૃદ્ધ ઘાયલ
મણીનગરમાં રહેતાં 74 વર્ષનાં વેપારી કેશવદાસ મેઘનાની 21 ઓક્ટૉબરનાં રોજ રાતે 8.53 વાગે એક્ટિવા લઈ રાયપુર ભજીયા હાઉસ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન તેમની એક્ટિવાનો અકસ્માત થતાં તેમને માથનાં ભાગે તથા હાથનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન તેમને મદદ માટે 108 આવી હતી. જે તેમને એલ.જી હોસ્પિટલ લઈ ગઈ હતી.
108નાં કર્મચારીએ રોકડ કાઢી લીધી
હોસ્પિટલ લઈ જતાં સમયે દર્દીનાં પરિવારને જાણ કરવાં માટે 108નાં ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતાં અશોક કરશનભાઈ રોહિત(34)ને રૂ. 1.30 લાખની રોકડ મળી હતી. જે તેમણે કાઢી લઈ દર્દીનાં પરિવારને જાણ કરી હતી. જ્યારે દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે અશોકે દર્દીનાં તમામ રોકડ રકમ આપી દીધી હતી. જેનાં કારણે દર્દીનાં સગાએ તેમનો આભાર માન્યો હતો.
108નાં કર્મચારીએ ત્રીજી વખત ઈમાનદારી બતાવી
અશોક છેલ્લાં 10 વર્ષથી 108માં ફરજ બજાવે છે. તેમનાં આ કાર્યકાળ દરમિયાન તેમણે આ ત્રીજી વખત ઈમાનદારી બતાવી છે. આ પહેલાં વર્ષ 2011-12માં એક દર્દીનાં ખિસ્સામાંથી 1.50 લાખ મળ્યાં હતાં. જે તેમનાં પરિવારને પરત કર્યાં હતાં. એ બાદ 2017માં એક દર્દીનાં ખિસ્સામાંથી 10 હજાર મળ્યાં હતાં એ પણ તેમણે દર્દીનાં સગાને પરત કર્યા હતાં. આ અંગે વાત કરતાં અશોકે જણાવ્યું હતું કે, 'આ મારી ફરજ હતી. જે મારે ઈમાનદારીથી પુરી કરવી જ રહી. એમાં મે કંઈ મોટું કામ નથી કર્યું.'