ભારતીય જનતા પાર્ટીએ નેતા થાવરચંદ ગેહલોતને રાજ્યસભામાં પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની જગ્યાએ સદનના નેતા બનાવ્યાં છે. થાવરચંદ ગેહલોત મોદી સરકારમાં સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યાં છે.
થાવરચંદ ગેહલોત ભાજપના દલિત ચહેરામાંથી એક છે જેમને બીજી વખત કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કેન્દ્રની મોદી સરકારના પ્રથમ કાર્યકાળ 2014માં પણ થાવરચંદ ગેહલોત સામાજિક ન્યાય અને સશક્તિકરણ મામલાના મંત્રી રહી ચૂક્યાં છે. મંત્રી તરીકે થાવરંચદ ગેહલોત સામાજિક રીતે પછાત, સમાજથી વંચિત તબક્કા અને દિવ્યાંગ લોકો માટે ઘણી લાભદાયક સ્કીમ ડ્રાફ્ટ કરી ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી નાદૂરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાંક મહિનાથી રાજકીય રૂપથી સક્રિય નથી, તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા અરૂણ જેટલીએ શપથગ્રહણ પહેલાં જ પત્ર લખીને જાહેરાત કરી હતી કે નાદૂરસ્ત તબિયતના કારણે તેમનું પદ પર રહેલું સંભવ નથી.
અરૂણ જેટલીએ પીએમ મોદીને અપીલ કરી હતી કે તેઓને બીજી વખત મંત્રિમંડળનો ભાગ ન બનાવે. થાવરચંદ ગેહલોતનો જન્મ 18 મે, 1948ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના નાગદા ગામમાં થયો હતો. થાવરચંદ ગેહલોત 1996થી 2009 દરમિયાન શાઝાપુર લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યાં છે.
2009માં થાવરચંદ ગેહલોતને કોંગ્રેસ પાર્ટીના સજ્જનસિંહ વર્માથી હાર મળી. 2012માં થાવરચંદ ગેહલોત રાજ્યસભાથી સંસદ ચૂંટાયા, 2018માં તેમને બીજી વખત રાજ્યસભાના સભ્ય બનાવામાં આવ્યાં. રાજ્યસભાના સભ્ય તરીકે તેમનો કાર્યકાળ 2024માં પુરો થાય છે.