અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી જમ્મૂ-કાશ્મીર રાગ આલાપતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો છે. વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે બે અઠવાડિયા અગાઉ જે પ્રકારનો તણાવ જોવા મળતો હતો તેમાં ઘટાડો થયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો, ભારત-પાકિસ્તાન વચ્ચે ઓછો થયો તણાવ
ગત બે અઠવાડિયામાં બંને દેશો વચ્ચે થઇ ઓછી કડવાહટઃ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું-જો બંને દેશ ઇચ્છે તો તેમને મદદ કરવા તૈયાર
આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી મધ્યસ્થતાનો રાગ આલાપ્યો છે. ટ્રમ્પે એકવાર ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ઓફર કરી છે. જો કે યૂએસ પ્રેસિડેન્ટે કહ્યું છે કે તેઓ બંને દેશ વચ્ચે મધ્યસ્થતા ત્યારે જ કરશે જ્યારે બંને દેશ આ માટે રાજી હોય.
ઉલ્લેખનીય છે કે G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાત બાદ આ પહેલી વાર છે જ્યારે ભારત-પાકિસ્તાનના સંબંધો પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોઇ પ્રતિક્રિયા આપી હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે ફ્રાંસમાં મુલાકાત થઇ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તમે જાણો છો કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા 15 દિવસથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે મને લાગે છે કે છેલ્લા બે અઠવાડિયા અગાઉ બંને દેશો વચ્ચે જે તણાવની પરિસ્થિતિ હતી તે હવે ઓછી થઇ છે. .
ઉલ્લેખનીય છે કે ભારતે જ્યારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી પણ નહોતી ત્યારે પણ ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને લઇને ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાને લઇને રજૂઆત કરી હતી. ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અમેરિકાની મુલાકાતે હતા.
જો કે આ નિવેદન બાદ ભારત તરફથી આ રજૂઆતને નકારી જણાવી દેવાયું હતું કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય છે, જેમાં ત્રીજા કોઇ પક્ષની દખલગીરી શક્ય નથી. જો કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને મધ્યસ્થતા કરવા જણાવ્યું હતું. જો કે ભારતના વિદેશમંત્રાલયે આ દાવાને પણ ફગાવી દીધો હતો.