કાનપુરમાં આઠ પોલીસકર્મીની હત્યા કરવાનો આરોપી વિકાસ દુબે પોતે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હવે આ એન્કાઉન્ટર પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, આ મામલો NHRC સુધી પહોંચ્યો છે.
વિકાસ દુબે એન્કાઉન્ટર મામલો NHRC સુધી પહોંચ્યો
તેહસીન પૂનાવાલાએ નોંધાવી ફરિયાદ
ઉત્તર પ્રદેશના કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હવે એન્કાઉન્ટરનો આ મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં પહોંચ્યો છે. તેહસીન પૂનાવાલા દ્વારા NHRCમાં એન્કાઉન્ટર અંગે ફરિયાદ નોંધાઈ છે.
— Tehseen Poonawalla Official (@tehseenp) July 10, 2020
આ ફરિયાદમાં ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર સિવાય તેના પાંચ સાથીઓ માર્યા ગયા હોવાની વાત પણ સામેલ કરવામાં આવી છે. એવું પણ લખવામાં આવ્યું છે કે વિકાસ દુબેએ પોતે સૌની હાજરીમાં શરણાગતિ સ્વીકારી હતી.
દુબે બેઠેલો એ ગાડી અને પલટી ખાઈ ગયેલી ગાડી જુદી હોવાનો દાવો
આ સિવાય એવો દાવો કરવામાં આવ્યો છે કે વીડિયો ફૂટેજમાં વિકાસ દુબે ટાટા સફારીમાં બેઠેલો જોવા મળે છે, જ્યારે જે વાહન પલટી ખાઈ ગયું છે તે બીજું છે. આવી સ્થિતિમાં આ એન્કાઉન્ટર અને ઘટના અંગે શંકા ઉભી થાય છે.. આ કેસમાં તપાસ માટે અપીલ કરવામાં આવી છે.
તેહસીન પૂનાવાલા વતી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસ દુબે બનાવટી એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે જેથી તેના રાજકીય અને પોલીસ વિભાગ સાથેના સંબંધો બહાર ન આવે.
તમને જણાવી દઈએ કે વિકાસ દુબેનું જે રીતે એન્કાઉન્ટર થયું છે તેના પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં એન્કાઉન્ટર સાઇટથી થોડા અંતર પહેલા જ મીડિયાને કેમ અટકાવી દેવાયું કે શરણાગતિ બાદ પણ વિકાસ દુબેએ કેમ ભાગી જવાની કોશિશ કરી વગેરે સવાલો સામે આવી રહ્યા છે.
વિપક્ષના નેતાઓએ ઉઠાવ્યા સવાલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર એટલે કરવામાં આવ્યું જેથી રાજકીય રહસ્યો જાહેર ન થઈ જાય. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વિકાસ દુબેની એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા.
UP પોલીસનું નિવેદન
જો કે, UP પોલીસનું કહેવું છે કે વિકાસ દુબેનું વાહન પલટી ખાઈ જતાં તે હથિયાર છીનવીને છટકી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની પોલીસકર્મીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં વિકાસ દુબે માર્યો ગયો હતો જ્યારે ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા.