તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાનુ કહેવુ છે કે નેહા મહેતાએ તેમને મળ્યાં વગર જ શો છોડી દીધો હતો. નિર્માતાનો એવો પણ દાવો છે કે તેમણે નેહાને ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ માટે ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમના તરફથી કોઈ પરફેક્ટ પ્રત્યુત્તર મળ્યો નથી.
'અંજલિ ભાભી'ને મહેતનાણુ ના આપવા પાછળ આપ્યું આ કારણ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાનો દાવો
અમે ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જવાબ મળતો નથી
નિર્માતાએ નિવેદનમાં શું કહ્યું?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર્સે શોમાં અંજલિ મહેતાનુ પાત્ર ભજવી ચૂકેલી નેહા મહેતાના દાવાને ખોટા ગણાવ્યાં છે. પ્રોડક્શન હાઉસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, અમે કલાકારોને પોતાના પરિવારની જેમ માનીએ છીએ. અમે નેહા મહેતાને ઘણી વખત ફોર્મેલિટી પૂરી કરવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કમનસીબે તે શોમાંથી બહાર થવાની લેખિત કાર્યવાહી કરવા માટે તૈયાર થઇ નહીં અને કંપનીની પોલિસી મુજબ અમે તેના વગર ફાઈનલ પ્રક્રિયા કરી શકીએ તેમ નથી.
અમારી વાતચીતનો જવાબ આપવાનુ પણ બંધ કર્યુ
પ્રોડક્શન હાઉસ દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે, છેલ્લાં બે વર્ષથી તેમણે અમારી વાતચીતનો જવાબ આપવાનુ બંધ કરી દીધુ હતુ અને તેમણે અમારી સાથે મળ્યાં વગર જ શો છોડી દીધો. તેમણે અમારી પર ખોટા આરોપો લગાવવાને બદલે અમારા ઈ-મેલનો જવાબ આપ્યો હોત. નિર્માતાઓએ તેમને 12 વર્ષની પ્રસિદ્ધી અને કારકિર્દી આપી છે. અમે અમારા અધિકારોનો ઉપયોગ કરીને યોગ્ય કાર્યવાહી કરીશુ.
નેહા મહેતાએ એક વાતચીતમાં કહ્યું હતુ કે તે જાહેરમાં ફરિયાદ કરતી નથી. પરંતુ તેમને આશા છે કે તારક મહેતા...ના નિર્માતા તેમનો પગાર ચૂકવી દેશે. નેહાએ કહ્યું હતુ, હું સન્માનપૂર્ણ જીવન જીવવા માગુ છુ અને ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં વિશ્વાસ રાખતી નથી. મેં 2020માં તારક મહેતા... છોડતા પહેલા તેમાં 12 વર્ષ સુધી કામ કર્યુ. છેલ્લાં છ મહિનાનો મારો પગાર બાકી છે. શો છોડ્યા બાદ મેં મારા મહેનતાણા માટે વાત કરી છે.