હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલા કોરોનાના દર્દીઓ કેટલાક અઠવાડિયા પછી પણ કેટલાક લક્ષણો દેખાઈ રહ્યા છે. JAMA જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં સંશોધનકારોએ આ વાત નોંધી છે. ઇટાલીના સંશોધનકારોએ સંશોધન કર્યું છે કે કોરોના રોગની શરૂઆતના 2 મહિના પછી પણ થાક, સાંધાના દુખાવા, શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો લોકોમાં રહે છે.
ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત જે 143 લોકો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમને જે તે સમયે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ રોગની શરૂઆતના 2 મહિના પછી પણ 90 ટકા લોકોમાં કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા. જેમાં થાક લાગવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, સાંધાનો દુખાવો જેવા લક્ષણો શામેલ છે. રોમની એક હોસ્પિટલમાં ડોક્ટર એન્જેલો કાર્ફીના નેતૃત્વમાં આ સ્ટડી થયું હતું.
અભ્યાસના પરિણામોને અત્યંત ચિંતાજનક
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ સંશોધન દર્શાવે છે કે માંદગીના 60 દિવસની પછી, ફક્ત 12.6 ટકા લોકો કોરોનાનાં લક્ષણોથી સંપૂર્ણપણે મુક્ત થઈ શક્યાં હતાં. અધ્યયન દરમ્યાન, અડધા લોકોએ કહ્યું કે તેમની લાઈફ ક્વોલિટી પહેલા કરતા ખરાબ થઈ ગઈ છે. નિષ્ણાંતોએ અભ્યાસના પરિણામોને અત્યંત ચિંતાજનક ગણાવ્યા હતા.
લાંબા સમય સુધી કોરોનાની દર્દીઓના શરીર ઉપર થતી અસરથી ડોકટરો અજાણ
આ અગાઉ એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું હતું કે કોરોનાને લીધે સ્વાદ કે ગંધ લેવાની શક્તિ ગુમાવી ચૂકેલા 10% દર્દીઓમાં આ લક્ષણો એક મહિના પછી પણ ચાલુ રહ્યા હતા. કોરોના નવો રોગ હોવાને કારણે ડોકટરો હજી સુધી ચોક્કસપણે જાણી શક્યા નથી કે લાંબા સમય સુધી કોરોનાની દર્દીઓના શરીર પર શું અસર જોવા મળશે.
રિકવર થયેલા 55% લોકોમાં 2 મહિના પછી પણ લક્ષણો રહે છે
આ તરફ ઇટાલીના અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે કોરોનાથી ઠીક થઇ ચૂકેલા લગભગ 55% લોકોમાં 2 મહિના પછી પણ 3 અથવા 3થી વધારે લક્ષણ હાજર હોય છે. જયારે 32% દર્દીઓમાં એક કે બે લક્ષણો હાજર હતા. આ તરફ 43% લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી તો 21% લોકોને છાતીમાં દુખાવો રહેતો હતો. જો કે આ તમામ દર્દીઓ કોરોના નેગેટિવ જાહેર થઇ ચુક્યા હતા.