મહામારીની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ પહેલાં કરતા પણ વિકટ બની છે. આવામાં આ વખતે સુરત શહેરમાં સૌથી વધુ ખરાબ અસર વર્તાઈ રહી છે.
સુરતમાં કોરોના વાયરસનો કહેર યથાવત
કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓની ઘટ
શિક્ષકોને સ્મશાન ગૃહમાં સોંપાઈ કામગીરી
સુરતમાં હાલ કોરોનાને કારણે ભયંકર સ્થિતિનો માહોલ સર્જાયો છે. દિવસે ને દિવસે ત્યાં કોરોનાના આંકડા વધી રહ્યાં છે જેમાં ખાસ કરીને મૃતકોનો આંકડો અને પરિસ્થિતિ સૌથી વધુ ખતરનાક દેખાઈ રહી છે. સુરતના સ્મશાનગૃહોમાં મૃતદેહો એટલા આવી રહ્યાં છે કે હાલ ત્યાં કલાકોના કલાકો વેઈટિંગ જોવું પડી રહ્યું છે.
શિક્ષકોને સ્મશાન ગૃહમાં સોંપાઈ કામગીરી
હાલ સુરતના સ્મશાનગૃહમાં વિકટ પરિસ્થિતિના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જેના કારણે તંત્ર પાસે કર્મચારીઓની ખોટ વર્તાઈ રહી છે જેના પગલે શિક્ષકોને અહીં મૃતદેહો ગણવાની કામગીરી સોંપવામાં આવી છે. મૃતદેહ ગણવાની કામગીરી કર્મચારી સાથે શિક્ષકોને તંત્ર દ્વારા સોંપાઈ છે. આ નિર્ણય ખાસ કરીને અચાનક મૃત્યુ દર વધવાને કારણે લેવાયો છે. શિક્ષકોએ આ કામગીરી સ્મશાનમાં 24 કલાક કરવાની રહેશે. ત્રણ શિફ્ટમાં આ કામગીરી હશે તેવું જાણવા મળી રહ્યું છે. જેમાંથી સ્મશાનગૃહમાં 6 કલાકની ડ્યુટી કરવાની રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને ડ્યુટી સોંપાઈ છે.
સુરતના અશ્વનીકુમાર સ્મશાનગૃહમાં લાઈનો
સુરતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી જતાં સ્મશાન ગૃહમાં કોવિડ 19 અને નેચરલ ડેથના મૃતદેહોને લાઈનમાં રાખવાની ફરજ પડી રહી છે. જેના પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. સરકાર કોવિડ 19માં મૃત્યુના આંકડા છુપાવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે સુરતમાં મૃતદેહોનો એટલો ઘસારો જોવા મળ્યો છે કે ત્યાં ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે.