સુરતના ડિંડોલીમાં થયેલા બે બાળકોના મોત મામલે સ્મીમેર હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ બાળકોના મોતના જવાબદાર લોકોને ઝડપીને આકારમાં આકરી સજા કરવાની માગ કરી હતી.
જોકે આ સમગ્ર હોબાળો ઉગ્ર બનતા પોલીસ અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકોના પરિવારજનો કોઈકાળે માનવા તૈયાર ન હતા.
આ ઉપરાંત રોષે ભરાયેલા પરિવારજનોએ બાળકોના મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે કારમાં ફસાયા બાદ આ બે બાળકોના મોત થયા હતા. આ સમગ્ર મામલે પોલીસની તપાસ જારી છે.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસિડેન્સી સોસાયટીમાંથી ગત રોજ બે અલગ અલગ પરિવારના 5-6 વર્ષના બે માસુમ બાળકો રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા હતા.
બપોરના સમયે ઘરેથી વેફર લેવા દુકાને નીકળેલા બને માસુમ ઘરે પરત ન ફરતા મોડી સાંજે બંનેની ઘર નજીક રહેલ એક ફોર વ્હીલ કારમાંથી લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે બને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. સખ્ત તાપમાન વચ્ચે બાળકો કારમા ગોંધાઈ ગયા હતા અને ગરમીના કારણે ગૂંગળામણ થતા તેઓના મોત નિપજ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
આ મામલે પરિવારે બાળકોની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આજે બંને બાળકોનું સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન પરિવાર અને સમાજના લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં આવી પોહચ્યા હતા.
પરિવાર અને સમાજના લોકોએ લાશ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દેતા થોડીવારમાં માટે માહોલ તંગ બન્યો હતો. પરિવારના ભારે હોબાળાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવાર અને સમાજના લોકોએ કહ્યું હતું કે બંને બાળકોની હત્યા થઈ છે. જેથી આ કેસની ન્યાયિક તપાસ થવી જોઈએ. આ કેસમાં આરોપીઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવે. આ ઉપરાંત બંને પરિવારોએ કહ્યું કે તેમના બાળકો ફોર વ્હીલ ગયા કેવી રીતે તેની પણ તપાસ થવી જોઈએ.