સુરત: પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી અનામત માટે આંદોલન કરવામાં આવે છે. ત્યારે હવે આગામી દિવસોમાં પાટીદાર સમાજ દ્વારા સુરતમાં સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે. સંકલ્પ યાત્રાની મંજૂરી માટે પાટીદાર સમાજના આગેવાન અને પોલીસની બેઠક મળી હતી.
આ બેઠકમાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. પાટીદાર સમાજના આગેવાનોને રેલી કરવા માટે સુરત પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.
આ સાથે જ આ બેઠકમાં અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને લઈને પણ ચર્ચા થઈ હતી. પાટીદાર સમાજ દ્વારા અલ્પેશની જેલ મુક્તિને લઈને સ્વાગતની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે પાટીદાર સમાજ દ્વારા છેલ્લા કેટલાક સમયગાળાથી અનામત માટે વિવિધ પ્રકારના આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી આયોજન સંકલ્પ યાત્રાનું હોવાથી આ મામલે પાસના કેટલાક અગ્રણીઓએ સુરતના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેમણે સંકલ્પ યાત્રા અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિના સંદર્ભમાં ચર્ચા કરી હતી જો કે આ આયોજન માટે પોલીસે મંજૂરી નહીં આપતા પાસ દ્વારા આગામી સમયમાં શું રણનીતિ ઘડવામાં આવે છે તે તો આવનારો સમય જણાવશે.