થોડો દિવસ પહેલા બેંગલુરુમાં એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની જનસભામાં એક વિદ્યાર્થીનીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જે બાદ તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેના પર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી ધરપકડ કરવામાં આવેલી વિદ્યાર્થીનીના બચાવમાં આગળ આવ્યા છે.
ઓવૈસીની જનસભામાં એક વિદ્યાર્થીનીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા
જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે 'આ રાજદ્રોહ કાયદાનો સ્પષ્ટ દુરપયોગ છે
અમૂલ્યાને હાલ બે સપ્તાહ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે
તેઓએ કહ્યું કે આ રાજદ્રોહ કાયદાનો સ્પષ્ટ રીતે દૂરપયોગ છે. જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ ટ્રેન્ડને રોકવા માટે કોર્ટે આગળ આવવું જોઇએ.
ટેલીગ્રાફ સાથેની વાતચીતમાં જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે 'આ રાજદ્રોહ કાયદાનો સ્પષ્ટ દુરપયોગ છે. આ રાજદ્રોહનો મામલો કેવી રીતે હોઇ શકે છે? આ રાજદ્રોહનો મામલો છે જ નહીં. ઇન્ડિયન પીનલ કોડ હેઠળ પણ કાર્યવાહી ન થઇ શકે. આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીનીએ જે કર્યું, એવામાં તેની વિરુદ્ધ કોઇપણ કાર્યવાહી ન થઇ શકે. ન માત્ર રાજદ્રોહ પરંતુ કોઇપણ ક્રિમિનલ કેસ તેની વિરુદ્ધ બનતો નથી.'
ગત ગુરુવારે પત્રકારત્વની વિદ્યાર્થીની અમૂલ્યા લિઓના નોરોન્હાએ અસદુદ્દીન ઓવૈસીની એક જનસભાના સ્ટેજ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ અમૂલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ લગાવી દેવામાં આવ્યો હતો, જેમા વધુમાં વધુ સજા ઉમંરકેદ છે. અમૂલ્યાને હાલ બે સપ્તાહ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
વિદ્યાર્થીની પર રાજદ્રોહનો કેસ લગાવવાની આલોચના કરતા પૂર્વ જજે કહ્યું કે આપણુ પાકિસ્તાન સાથે યુદ્ધ નથી ચાલી રહ્યું, પાક. સાથે આપણા રાજદ્વારી સંબંધો જારી છે. જ્યારે પૂર્વ જસ્ટિસને પૂછવામાં આવ્યું કે જો પાકિસ્તાનને દુશ્મન દેશ જાહેર કરી દેવામાં આવે છે તો શું કોઇના પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા પર રાજદ્રોહનો કેસ લગાવી શકાય છે? જવાબમાં જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે ત્યારે પણ રાજદ્રોહનો મામલો નથી બનતો પરંતુ તેને નૈતિક રીતે ન સ્વીકારી શકાય.
તેઓએ કહ્યું કે શું આપણે અમેરિકા ઝિંદાબાદ અને ડોનાલ્ડ ટ્રમ્પ ઝિંદાબાદ જ કહેવુ જોઇએ? આ બધુ શું ચાલી રહ્યું છે? આ પૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. મને લાગે છે કે બંધારણીય લોકશાહી જોખમમાં છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કથિત રીતે દાવો કર્યો છે કે આરોપી વિદ્યાર્થીના નક્સલીઓ સાથે સંબંધ છે. તેના જવાબમાં જસ્ટિસ બી.સુદર્શન રેડ્ડીએ કહ્યું કે જો વિદ્યાર્થીનીના સંબંધ નક્સલીઓ સાથે છે તો આ ત્યારે જ સામે આવ્યું, જ્યારે તેણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, તેની પહેલા કેમ ધરપકડ કરવામાં ન આવી? તેઓએ કહ્યું કે, વિદ્યાર્થીનીની ધરપકડ ન્યાય સંગત બતાવવા માટે તેના પર આ આરોપ લગાવાઇ રહ્યા છે.