કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોએ વધુ એક જાહેર હિતની અરજી કરી છે. જેમાં વી.એસ.હોસ્પિટલ ફરી કાર્યરત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, કોરોના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોએ આ અગાઉ કરેલી જાહેર હિતની અરજી મામલે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવો જોઈએ. જેને લઇને રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો કે, જો વધુ ટેસ્ટ થશે તો લોકોમાં માનસિક ડરનો માહોલ ફેલાશે. ત્યારે આ વધુ એક અરજી મામલે સરકાર દ્વારા આગામી સમયમાં જવાબ રજૂ કરવામાં આવશે.
ખાનગી હોસ્પિટલો લૂંટ ચલાવે છે, તો VS હોસ્પિટલને ફરી કાર્યરત કરોઃ અરજદાર
30 હજાર ઇમ્યુનિટી બુસ્ટ ઇન્જેક્શન દર્દીઓ પાસે મંગાવે છેઃ અરજદાર
સરકાર દાવો કરે છે કે ઇન્જેક્શન અમે ફ્રીમાં આપીએ છીએઃ અરજદાર
ગુજરાત હાઈકોર્ટમાં કોવિડ-19 મુદ્દે સુઓમોટો મામલે અરજદારે વી.એસ. હોસ્પિટલ શરૂ કરાવવા રજૂઆત કરી છે. અરજદારે કહ્યું કે વી.એસમાં 108 જેટલા ICU બેડ અને 22 વેન્ટિલેટર છે. પરંતું બંધ હાલત હોવાથી તેનો ઉપયોગ નથી થઈ શકતો જેથી આ વી.એસ.હોસ્પિટલને ફરી કાર્યરત કરવી જોઈએ. બીજી તરફ ખાનગી હોસ્પિટલ દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવે છે. એટલું જ નહીં દર્દીઓ પાસે જ 30 હજારનું ઈમ્યુનિટી બુસ્ટ ઈન્જેક્શન મંગાવે છે. જ્યારે સરકાર એવો દાવો કરે છે કે ઈન્જેક્શન અમે ફ્રીમાં આપીએ છીએ. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે.
ગુજરાત હાઈકોર્ટે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપવા આદેશ કર્યો હતો
કોરોના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની આ અગાઉની અરજીમાં રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપવા આદેશ કર્યો હતો. આ મામલે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે જો વધુ ટેસ્ટ કરવામાં આવશે તો લોકોમાં માનસિક ડરનો માહોલ ફેલાશે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની આશંકાથી ટેસ્ટિંગ રોકવું હિતાવહ નથી. કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો. ડિસ્ચાર્જ સમયે પણ દર્દીના ટેસ્ટિંગ કરો. ખાનગી લેબમાં આંતર માળખાકીય સુવિધાઓના આધારે RT-PCR ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપવામાં આવે.
મહત્વનું છે કે, આ અગાઉ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારના ચાર્જ મામલે હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલોને સરકારી નિયમ મુજબ જ ચાર્જ લેવા આદેશ કર્યો હતો. આ અંગે હાઈકોર્ટના જજ જસ્ટિસ પારડીવાલાએ ખાનગી હોસ્પિટલની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખો. હોસ્પિટલોએ માનવતાના ધોરણે પણ કામ કરવું પડશે. કારણ કે ઉપરવાળો બધુ જ જોઈએ રહ્યો છે. ત્યારે આ મામલે ખાનગી હોસ્પિટલના વકીલે કોર્ટમાં કહ્યું કે ચાર્જમાં 10 ટકાનો ઘટાડો કરીશું.