રાજ્યમાં માર્ચના અંતિમ દિવસોમાં ગરમીએ પ્રકોપ વર્તાવતાં લોકો અસહ્ય ગરમીમાં પરેશાન થઈ ચૂક્યા છે. શનિવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચતી જતાં આકાશમાંથી આગના ગોળા વરસ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સુરેન્દ્રનગર ૪૧.૫ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું હતું તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૧.૧ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. એટલું જ નહીં ગ્રીન સિટી ગાંધીનગર પણ ૪૦.૬ ડિગ્રી ગરમીમાં શેકાયું હતું.
ચૂંટણીની મૌસમની તેજ થઇ છે તેની સાથો સાથે ગરમીનો પારો પણ ઉંચે જઇ રહ્યો છે. રાજ્યમાં આ મહિનાના છેલ્લા દિવસોમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. જ્યભરમાં દિવસે દિવસે ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો છે. આગામી 5 દિવસોમાં પારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની સ્થિતી બની રહેશે. તો કાળઝાળ ગરમીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે જ પાલિકાએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ પણ આપી છે.
ત્યારે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં મ્યૂનિસિપલ કમિશનરે યલો એલર્ટ જાહેર કર્યુ છે. બપોરે 1થી 5 કામ વિના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. સાથે જ શહેરીજનોને વધુમાં વધુ પાણી અને લીંબુ સરબત પીવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, 40થી 42 ડિગ્રી તાપમાન હોય તો યલો એલર્ટ, 42થી 44 ડિગ્રી તાપમાન હોય તો ઓરેન્જ એલર્ટ અને 45થી વધુ ડિગ્રી તાપમાન હોય તો રેડ એલર્ટ જાહેર કરાતું હોય છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં પારો 42 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. સાથો સાથ રાજ્યના 10 જેટલા શહેરોમાં પારો 38 ડીગ્રી સુધી પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરે 2થી 4 આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. લોકો અત્યારથી જ આ આગ ઝરતી ગરમીથી પરેશાન છે. આ સાથે જ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉનાળાએ તેનો અસલ મિજાજ બતાવતાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે અને એપ્રિલની શરૂઆતમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ભરપૂર સહારો લઈ રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે લોકોને દિનચર્યામાં પણ ફેરફાર કરવો પડે તેવી નોબત આવી છે. આવનારા બેથી અઢી મહિના આકરા બનશે તે નિશ્ચિત બન્યું છે.
ચાલુ વર્ષે રેકર્ડબ્રેક લાંબા સમયથી સુધી ઠંડીનું સામ્રાજ્ય જળવાઈ રહ્યું હતું તે જોતાં ઉનાળો પણ અતિશય આકરો બની રહેવાનો છે તેમાં બેમત નથી. રાજ્યના શહેરોમાં પણ બપોર બાદ લોકોની નહીંવત અવર-જવર વર્તાય છે તો ગ્રામ્ય વિસ્તારો તો બપોરે સૂમસામ ભાસી રહ્યાં છે. અમદાવાદ જેવા શહેરોમાં વૃક્ષોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની અસર વર્તાઈ રહીં છે અને ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જે આવનારા સમય માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. બે મહિનામાં લોકોએ આકરામાં આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે તે નક્કી છે.