મોતના દરવાજા પર ઊભેલા લોકોની અંતિમ ઇચ્છા તેમનાં પરિવારજનો કોઇ પણ હિસાબે પૂરી કરતાં હોય છે, પરંતુ જ્યારે કોઇની અંતિમ ઇચ્છા પૂરી ના થાય ત્યારે તેના પરિવારને જીવનભરનો અફસોસ રહી જતો હોય છે. આવા જ એક અફસોસ સાથે શહેરના છેવાડે આવેલા લાંભા ગામના ઇન્દિરાનગરમાં રહેતી એક વૃદ્ધાને આજીવન રહેવું પડશે. ચાર દિવસ પહેલાં યુવકે આપઘાત કર્યો હતો, જેમાં તેની અંતિમ ઇચ્છા ઓર્ગન ડોનેટ કરવાની હતી, પરંતુ જ્યારે તેના અંતિમસંસ્કાર થઇ ગયા બાદ હકીકત સામે આવતાં માતાને અફસોસ રહી ગયો છે. બેસણાના ફોટોગ્રાફ્સ માટે યુવકની બહેને ડાયરી ખોલી તો તેમાં સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં અંતિમ ઇચ્છાનો ઉલ્લેખ કર્યો હતો.
લાંભા ખાતે આવેલા ઇન્દિરાનગરમાં ૩૭ વર્ષીય દિલીપ સોલંકી તેની વૃદ્ધ માતા લીલાબહેન સાથે રહેતો હતો. તા. 10 ડિસેમ્બરના રોજ દિલીપે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ અસલાલી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દિલીપની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી અકસ્માત મોતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
બેસણાના દિવસે આત્મહત્યાનું અસલ કારણ સામે આવ્યું
દિલીપના મોતના સમાચાર મળતાં તેની બહેન પિયરથી બે પુત્રીઓને લઇ ઇન્દિરાનગર આવી ગઇ હતી. દિલીપના અંતિમસંસ્કાર બાદ તેની બહેન બેસણા માટે ફોટો શોધતી હતી ત્યારે તેણે એક ડાયરી ખોલી હતી. ડાયરીમાં ફોટો ના મળ્યો, પરંતુ દીલીપનું લખાણ મળી આવ્યું હતું. દિલીપની બહેનને વાંચતાં આવડતું ન હોવાના કારણે તે લખાણ તેની બંને પુત્રીઓને વંચાવ્યું હતું. લખાણ વાંચતાંની સાથે જ દિલીપે સ્યુસાઇડ કેમ કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અંતિમસંસ્કાર થઇ ગયા બાદ હકીકત સામે:લાંભાના કમનસીબ યુવકની ઓર્ગન ડોનેટ કરવાની અંતિમ ઇચ્છા અધૂરી રહી ગઈ અને તેના અંતિમસંસ્કાર કરી દેવાયાઃ અસલાલી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ અંગત અદાવતમાં પાડોશી જાતિવાચક શબ્દો બોલ્યો હતો
અસલાલી પોલીસે રૂપિયા ખાઈ વિશાલને છોડી મૂક્યાનો આક્ષેપ
સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે વિશાલ પર દિલીપે કેસ કર્યો હતો, જોકે તે પૈસા ખવડાવીને નીકળી ગયો હતો. અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રજનીકાંત અને કિરણે કહ્યું હતું કે કેસ થઇ ગયો છે. દિલીપ અને વિશાલ વચ્ચે થયેલી બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી, જેમાં તેને પૈસા લઈ છોડી મૂકવાનો આક્ષેપ પણ કર્યો છે.
‘મારાં અંગોનું ગુપ્તદાન કરશો તો મારા આત્માને શાંતિ મળશે’
સ્યુસાઇડ નોટમાં દિલીપે ઉલ્લેખ કર્યો હતો કે મારાં અંગોનું ગુપ્તદાન કરશો તો મારા આત્માને શાંતિ મળશે. દિલીપે સ્યુસાઇડ કર્યું ત્યારે જો ઘરમાં તપાસ કરી હોત તો કદાચ તેની અંતિમ ઇચ્છા પૂરી થઇ શકી હોત. દિલીપ જ્યારે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો ત્યારબાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. િદલીપની આખરી ઇચ્છા સાંભળીને તેની માતા પણ તૂટી ગઇ હતી.
‘મારી માની આંતરડી બાળીને હું જઈ રહ્યો છું’
‘હું આજે કંટાળી ગયો છું કે મારી સામે જે માણસ મારા ધર્મ અને મારી માને ગાળો બોલી ગયો અને હું કંઇ કરી ના શક્યો. મારી ભૂલ શું થઇ છે?’ ઇન્દિરાનગરમાં રહેતા વિશાલ પરમારે દિલીપ સાથે બબાલ કરી હતી, જેમાં દિલીપે અસલાલી પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કર્યો હતો. વિશાલ અને તેની માતા અવારનવાર દિલીપ અને તેની માતા લીલાબહેનને ગાળો આપતાં હતાં, જેથી તેણે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. દિલીપે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મારી દુઃખતી નસ મારી મા છે, નહીં તો આનું ખૂન કરીને એનું લોહી પી ગયો હોત. મને ખબર છે કે મારી માની આંતરડી બાળીને હું જઇ રહ્યો છું.
અંતિમસંસ્કારનો ખર્ચ પોલીસે ઉઠાવ્યો
અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર. જાડેજાએ જણાવ્યું છે કે યુવક તેની માતા સાથે રહેતો હતો. તેઓ ગરીબ હોવાથી યુવકના પોસ્ટમોર્ટમ બાદ અંતિમસંસ્કારનો ખર્ચ પોલીસે ઉઠાવ્યો હતો. પોલીસે વિશાલ અને તેની માતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે બંને આરોપીઓને ઝડપી લેવાયા છે.