પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો
પરીક્ષામાં પેપર નબળું જતા આપઘાત કર્યાની આશંકા
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ. પરંતુ કોણ જાણે કેમ શા માટે બોર્ડની પરીક્ષાને લઇને એક ડરનો માહોલ ઉભો કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષા એ અન્ય ધોરણોમાં લેવાતી હોય તેવી જ પરીક્ષા છે. પરંતુ વિદ્યાર્થીઓમાં ફેમિલી, ફ્રેન્ડ્સ અને શિક્ષકો દ્વારા ક્યાંકને ક્યાંક બોર્ડની પરીક્ષાને લઇને અજાણતા જ એવુ પ્રેશર આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાથી જ ડરી જાય છે અને ન કરવાનું કરી બેસે છે. ત્યારે જૂનાગઢના માણાવદરમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરે મોતને વ્હાલુ કરી લીધું. .ત્યારે દરેક વિદ્યાર્થીઓને એજ સૂચન છે કે બોર્ડની પરીક્ષાએ જિંદગીની પરીક્ષા નથી. આ પરીક્ષાથી તમારુ ભવિષ્ય જરુર નક્કી થાય છે પરંતુ જિંદગી મહામૂલી છે. પરીક્ષામાં નાપાસ થશો તો બીજી વખત પરીક્ષા આપી શકશો પરંતુ જિંદગી પાછી નહિ મળે.
નાપાસ થવાના ડરે જીવન ટૂંકાવ્યું
જૂનાગઢના માણાવદર ખાતે ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ ગળફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ. પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો. માણાવદરના મીતડી રોડ પર એન.જી મીલની પાછળ રહેતા રાજેશભાઇ ઉભડીયાની દિકરીએ હમણાની ધોરણ 12ની પરીક્ષા આપી,. પરીક્ષામાં સાયન્સનું પેપર ખરાબ ગયુ હોવાથી નાપાસ થવાની બીકે તેણે મોતને વ્હાલુ કર્યુ હોવાની આશંકા છે. ઘટનાને પગલે પરિવાર દુખમાં ગરકાવ થયો છે. વ્હાલસોયી દિકરીએ મોતને વ્હાલુ કરી લેતા પરિજનો ચોધાર આંસુએ રડી રહ્યા છે. મહત્વનું છે કે બોર્ડની પરીક્ષા બાદ પેપર ખરાબ જવાથી અને નાપાસ થવાની બીકે વિદ્યાર્થીઓ આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે જેને લઇને વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.
સુરેન્દ્રનગરમાં પણ વિદ્યાર્થીનીનો આપઘાત
સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરાણા ગામનો બનાવ છે. 8 એપ્રિલના રોજ ધોરણ 12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરે મોતને વ્હાલુ કરી દીધુ હતું,. બોર્ડની પરિક્ષા શરુ થયાના પહેલા જ દિવસે તેણે ઝેરી દવા પી લીધી. ઘટનાને પગલે તેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી . જો કે અંતે દિકરીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ વિદ્યાર્થીનીનું નામ પ્રીતિ હોવાનું સામે આવ્યું હતું. તેના પિતા રમેશભાઇ મકવાણા ખેતી કામ કરે છે. ભાઇ બહેનોમાં પ્રિતી મોટી દિકરી હતી. 28 માર્ચે જ્યારે પરીક્ષા શરુ થવાની હતી તે દિવસે સવારે જ પ્રીતિએ ઝેરી દવા પી લીધી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ ગત રાત્રિએ તેણ દમતોડી દીધો.
રાજકોટમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત
ત્યારે રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પેપર નબળું જતાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું.