ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કોર્ટની મેટરમાં કોઈ ટીકા-ટિપ્પણી નહીં કરીએ
રાહુલ ગાંધી સામે માનહાની કેસનો મામલો
23મી તારીખે સુરત કોર્ટ આપી શકે છે ચુકાદો
રાહુલ ગાંધી 23મી તારીખે સુરત આવશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત શહેરની કોર્ટમાં સંભવતઃ 23 માર્ચે ચુકાદો આવી શકે છે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહેશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે?'. રાહુલ ગાંધીના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીઓ
જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ સુરતમાં હાજર રહશે. એરપોર્ટથી કોર્ટ સુધી રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. કર્ણાટકની જાહેર સભામાં વાંધાજનક નિવેદન આપ્યું હતું. વાંધાજનક ઉચ્ચારણ કર્યાનો સુરતમાં કેસ દાખલ થયો હતો. સુરત પશ્ચિમના MLA પૂર્વ મંત્રી પૂર્ણેશે મોદીએ માનહાનિનો દાવો કર્યો છે. ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની તમામ દલીલો પૂર્ણ થઈ છે. ચુકાદો સાંભળવા રાહુલ ગાંધી ખુદ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
રાહુલ ગાંધીના કાર્યક્રમ અંગે જગદીશ ઠાકોરનું નિવેદન
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ પદયાત્રા પૂર્ણ કરી છે અને પદયાત્રા પૂર્ણ કરીને પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે, ભારત જોડો અભિયાનને સમર્થન આપાયુ છે. રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કોર્ટની મેટરમાં કોઈ ટીકા-ટિપ્પણી નહીં કરીએ.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે,જ્યાં પણ રાહુલજી લોકોની વ્યથા સાંભળવા જાય છે ત્યાં ભાજપ એજન્સી મોકલે છે તેમણે કહ્યું કે, રાહુલજી દેશમાં ગરીબો, વંચિતો, ખેડૂતોની વ્યથા સાંભળી રહ્યા છે. સરકાર રાહુલજી હેરાન કરવા આવા કેસો કરાવે છે અને રાહુલજીના અવાજ દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ગત શુક્રવારે યોજાઈ હતી સુનાવણી
ગુજરાત મોઢ વણિક સમાજના નેતા, ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માનીની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી. ગત શુક્રવારે આ મામલે છેલ્લી સુનાવણી બાદ કોર્ટે સંભવિત નિર્ણય માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી.
રાહુલ ગાંધી પણ રહેશે હાજર
રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું કે, કોર્ટના નિર્ણયના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર રહેશે. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. રાહુલ ગાંધી છેલ્લે ઓક્ટોબર 2021ના રોજ કોર્ટમાં હાજર થયા હતા, ત્યાર બાદ તેમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને આ વિશે જાણકારી નથી અને તેઓ નિર્દોષ છે. તેમના વકીલનું પણ એવું જ કહેવું છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈ દસ્તાવેજી પુરાવા નથી અને કોઈ પણ રાજનેતા 13 કરોડની વસ્તી ધરાવતા સમાજ વિશે ખોટા નિવેદનો નહીં આપે. રાહુલ ગાંધીએ મોદી સમાજ પર નહીં પણ નરેન્દ્ર મોદી, લલિત મોદી, નીરવ મોદી અને અન્યના નામ લઈને ટિપ્પણી કરી હતી. તો પૂર્ણેશ મોદીના વકીલે કોર્ટમાં પુરાવા તરીકે રાહુલ ગાંધીના નિવેદનની સીડી અને પેન ડ્રાઈવ રજૂ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક 'મોદી' કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો.