ખાતરની કિંમતમાં વધતા ભાવ મુદ્દે કૃષિમંત્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે રો-મટીયલ્સના ભાવ વધ્યા છે, આમ છતાં રાજ્ય-કેન્દ્ર સરકાર 56 લાખ ખેડૂતોની પડખે છે
રાસાયણિક ખાતરના ભાવ વધારા મામલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે રો-મટીયલ્સના ભાવ વધ્યા છે. આમ છતાં રાજ્ય-કેન્દ્ર સરકાર 56 લાખ ખેડૂતોની પડખે છે. કંપનીઓએ ઉત્પાદન બંધ કરતા સરકારે મધ્યમાર્ગ કાઢ્યો છે. ખાતરની એક બેગ પર 700 રૂપિયાની સબસીડી સરકાર આપશે. જેને લઈ સરકાર પર વધારાના 25 હજાર કરોડનું ભારણ આવશે.
મહત્વનું છે કે, 19 મેના દિવસે પ્રધાનમંત્રી મોદીએ ખાતરના ભાવ પર એક હાઈ લેવલની મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં ખાતરના ભાવના મુદ્દે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં અધિકારીઓએ પ્રધાનમંત્રીને ખાતરના ભાવ સંબંધિત તમામ મુદ્દાઓથી વાકેફ કર્યાં હતા. બેઠકમાં પ્રધાનમંત્રીને જણાવાયું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફોસ્ફરિક એસિડ અને એમોનિયમ એસિડના ભાવમાં જંગી વધારો થયો હોવાથી ઘરઆંગણે ખાતરના ભાવ વધારે છે.
અધિકારીઓની વાત સાંભળીને પ્રધાનમંત્રી બોલ્યાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલેને ખાતરના ભાવમાં ગમે તેટલો વધારો થયો હોય પરંતુ આપણે તો આપણા ખેડૂતોને જુના ભાવે જ ખાતર આપવાનું છે.
હવે ખેડૂતોને કેટલી સબસિડી મળશે
ખેડૂતોને હવે 1200 રુપિયામાં ડીએપીની એક થેલી મળશે. ગયા વર્ષે ડીએપીની એક થેલીનો ભાવ 1700 રુપિયા હતો પરંતુ કેન્દ્રની 500 રુપિયાની સબસિડી સાથે ખેડૂતોને 1200 રુપિયામાં થેલી મળતી હતી. પહેલા 500 રુપિયાની સબસિડી મળતી હોવાથી ખેડૂતોને ડીએપીની એક થેલી 1900 રુપિયામાં મળતી હતી.