કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળોની વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ સારુ કામ કર્યું છે.
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન
મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ સારુ કામ કર્યું છે
કર્ણાટકમાં સતત નેતૃત્વ પરિવર્તનની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે ભાજપનો પણ જવાબ આવ્યો છે. ગોવાના બે દિવસના પ્રવાસે આવેલા નડ્ડાએ કહ્યું કે યેદિયુરપ્પાની આગેવાનીમાં કર્ણાટક સારુ કામ કરી રહ્યું છે યેદિયુરપ્પા પોતાની મેળે બધી બાબતો પર ધ્યાન આપી રહ્યાં છે. શું કર્ણાટકમાં કોઈ નેતૃત્વ સંકટ છે કે નહીં તે અંગેના સવાલનો જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે તમને એવું લાગે છે, અમને તો એવું નથી લાગતું. નડ્ડાની આ ટીપ્પણી એટલા માટે મહત્વની છે કે યેદિએ કહ્યું છે કે જ્યારે આજે તેમને ભાજપ હાઈકમાન્ડ દ્વારા હોદ્દા પર ટકી રહેવા અંગે નિર્દેશ અપાશે ત્યારે તેઓ ઉચિત નિર્ણય લેશે.
આજે યેદિયુરપ્પાના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે યેદિયુરપ્પા સરકારને 2 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઉત્તરાધિકારી તરીકે કેન્દ્રીય કોયલા, ખનન તથા સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને પ્રદેશ સરકારમાં ખનન મંત્રી તથા ઉદ્યોગપતિ એમઆર નિરાનીનું નામ આગળ આવી રહ્યું છે. જોકે આ બન્ને નેતાઓએ કહ્યું છે કે હજું સુધી તેમને આ અંગે કોઈ જાણકારી નથી.
સીએમની રેસમાં આ બે નામ આગળ
પ્રહ્લાદ જોશીએ કહ્યું કે કર્ણાટકના સીએમ પદ માટે હજું સુધી ભાજપના હાઈકમાન તરફથી કોઈ પણ વાત કરવામાં નથી આવી. જોશીએ કહ્યું કે તે આવા કાલ્પનિક સવાલોના જવાબ આપવાનું યોગ્ય માનતા નથી. તેમણે કહ્યું કે તે આ વાતથી અજાણ છે કે કોઈએ યેદિયુરપ્પાને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે કહ્યું છે. ત્યારે સીએમ પદના સવાલ પર નિરાનીએ કહ્યું કે પાર્ટી તેમને જે આદેશ આપશે તે તેનું પાલન કરશે.