UPSCની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી રહ્યાં છે. UPSCની પરીક્ષાને લઈને રેલવે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદથી 2 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
સોમનાથ-અમદાવાદ, ભાવનગર-અમદાવાદ વચ્ચે ટ્રેન શરૂ
પરીક્ષાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે
તમામ વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટિંગ ફરજિયાત
અમદાવાદમાં 4 ઓકટોબરે યોજાનારી UPSCની પરીક્ષા માટે રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં UPSCના પરિક્ષાર્થીઓ સાથે અન્ય મુસાફરો પણ મુસાફરી કરી શકશે. જેમાં સોમનાથ-અમદાવાદ, ભાવનગર-અમદાવાદ વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવી છે. તો તમામ વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવશે.
સ્પેશિયલ ટ્રેનનું ટાઇમ ટેબલ
તારીખ 3ને શનિવારે રાત્રે 9.30 વાગે સ્પે. ટ્રેન સોમનાથથી રવાના થશે જે રાજકોટ ખાતે મધરાત્રે 1.10 કલાકે પહોંચશે. સુરેન્દ્રનગર ખાતે મોડીરાત્રે 2.50 વાગે પહોંચશે. વિરમગામ વહેલી સવારે 4.15 વાગે અને અમદાવાદ 5.30 કલાકે પહોંચશે.
વળતા આ ટ્રેન નં. 09202 અમદાવાદ-સોમનાથ સ્પે. ટ્રેન રવિવારે તારીખ 4થીએ રાત્રે અમદાવાદથી 9.10 કલાકે ઉપડશે જે વિરમગામ રાત્રે 10.10 વાગે પહોંચશે, સુરેન્દ્રનગર રાત્રે 11.05 વાગે, રાજકોટ મધરાત્રે 1.10 અને સોમનાથ સવારે 5.5 કલાકે પહોંચશે. આ ટ્રેનમાં ઉમેદવારો સિવાયના યાત્રીઓને પણ પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારીની આરોગ્ય તપાસ માટે યાત્રીઓએ ટ્રેનના સમય પહેલા દોઢ કલાકે સ્ટેશને પહોંચી જવું પડશે.
UPSC પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન
જેમાં અમદાવાદમાં 81 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. આજે બે પેપર લેવામાં આવશે. પ્રથમ પેપર સવારે 9.30 કલાકે શરૂ થશે અને બીજુ પેપર બપોરે 2.30 કલાકે શરૂ થશે. તમામ ઉમેદવારોએ એક કલાક વહેલા પ્રવેશ અપાશે. જો કે, કોરોનાની મહામારીને લઇને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક જેવી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ-ડિવાઇસ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે.