અમદાવાદ સહિત રાજ્યભરમાં રપ વર્ષ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટેના કાયદા અંગેનું નોટિફિકેશન જાહેર થતાંની સાથે જ રિડેવલપમેન્ટ ઈચ્છતી ૧૦૦૦થી વધુ સોસાયટીનાે માર્ગ મોકળો થયો છે, ગણ્યા-ગાંઠ્યા લોકોના વિરોધના કારણે રિડેવલપમેન્ટ માટે જઈ ન શકતી સોસાયટીઓના રહીશોને હવે રાહત મળશે એટલું જ નહીં, રિડેવલપમેન્ટના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર નવી સ્કાયલાઇન ઊભી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
નવરંગપુરા, પાલડી, નારણપુરા અને વાસણા, બોડકદેવ, બોપલ, સેટેલાઇટ, આંબાવાડી, થલતેજ, નારણપુરા, ગોતા, સરખેજ, મકરબા, વેજલપુર, માણેકબાગ, શિવરંજની, નહેરુનગર વિજય, કોમર્સ છ રસ્તા, મેમનગર, મણિનગર, નરોડા, ખોખરા સહિત પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં લગભગ ૧૦૦૦ હાઉસિંગ સોસાયટી એવી છે, જે રિડેવલપમેન્ટ માટે જવાની તૈયારી કરી રહી છે.
આ અંગે ક્રેડાઈ-ગુજરાતના પૂર્વાધ્યક્ષ અને ગાહેડના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે શહેરની પૂર્વ અને પશ્ચિમની મળીને પ૦૦ જેટલી સોસાયટીઓ િરડેવલપમેન્ટમાં જઈ શકે છે, સાથે પ૦૦ જેટલી સોસાયટીઓ આ અંગે વાટાઘાટ કરી શકે છે, તેમના મતે રિડેવલપમેન્ટ વાયેબલ નથી, કેમ કે રિડેવલપમેન્ટમાં કોન્ટ્રાક્ટર કે ડેવલપર પાસે જગ્યા ટ્રાન્સફર થાય ત્યારે અને તે જગ્યા મેમ્બરને પાછી મળે ત્યારે આ બંને ટ્રાન્ઝેક્શનમાં ૧૮ ટકા બે વાર જીએસટી ભરવો પડે, જૂની પ્રોપર્ટી પર જીએસટી અંગેની કોઈ સ્પષ્ટતાની જોગવાઈ હાલમાં નથી.
બીજું બિલ્ડર કે ડેવલપર જ્યારે જે તે મિલકતધારક સાથે એગ્રીમેન્ટ કરે ત્યારે સ્ટેમ્પડ્યૂટી ભરવી પડે. આ ડ્યૂટી માત્ર નવાં મકાન વેચાય એટલે કે મેમ્બરની મિલકત સિવાયની મિલકતનું નવું વેચાણ થાય ત્યારે જ લાગવી જોઈએ. રિડેવલપમેન્ટમાં ૪૦ ટકા એમિનિટીઝ કે સગવડ આપવાની હોય ૪૦ ટકા જગ્યા આપવાની થાય તો પ્રોજેક્ટ વાયેબલ ન બને એટલું જ નહીં જૂની અને નવી એફએસઆઈ માર્જિન હોય તેની રકમ કોણ ભરે તે સ્પષ્ષ્ટતા પણ સરકાર દ્વારા કરવામાં આવી નથી.
અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલ્ફેર અસોસિયેશન- URHSWAના ચેરમેન જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે અમે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવી રિડેવલપમેન્ટ પોલિસી અપનાવવામાં આવે. હવે નવી પોિલસીનો અમલ ટૂંક સમયમાં થવાનો હોઇ જર્જરિત મકાનો ધરાવતા હજારો રહીશોને રાહત મળશે, જોકે રિડેવલપમેન્ટમાં કેટલીક કાયદાકીય ગૂંચ પણ છે. અશાંતધારા વિસ્તારમાં આવતી સોસાયટીઓને ઘણી મુશ્કેલી પડે તેમ છે. અશાંતધારાની જોગવાઈ મુજબ ધર્મ-જાતિનું સંતુલન ખોરવાય તો તેવી સોસાયટીઓનું શું કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આવા વિસ્તારમાં પણ ઘણી સોસાયટીઓ છે, જે રિડેવલપમેન્ટમાં જવા માગે છે.
રિયલ એસ્ટેટ ડેવલપર લાલજીભાઈ પટેલના જણાવ્યા મુજબ રિડેવલપમેન્ટમાં સૌથી મોટી બાબત સોસાયટીના સભ્યોને લગભગ બે વર્ષ માટે ભાડે મકાન આપવાની છે. મોટા ભાગે સોસાયટીના સભ્ય પોતાના વિસ્તારથી દૂર રહેવા તૈયાર હોતા નથી.
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ GICEAના પૂર્વ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે શ્યામલ સહિત અનેક વિસ્તારની સોસાયટીના રિડેવલપમેન્ટ માટે તમામ સભ્ય તૈયાર થઈ ગયા છે. જે મકાનો ૩૦ થી ૪૦ વર્ષ જૂનાં છે તેનો રિપેરિંગ ખર્ચ વધુ આવતો હોય તેવાં મકાનોની સોસાયટીઓએ પણ રિડેવલપમેન્ટ માટે તૈયારી બતાવી છે. મોટા ભાગના લોકો જર્જરિત મકાન-લિફ્ટ વગરના ફ્લેટ, સાંકડી સીડીઓ, પાર્કિંગ અને પાણીની અપૂરતી વ્યવસ્થા જેવી મુશ્કેલીઓ દૂર કરવા રિડેવલપમેન્ટ ઈચ્છે છે એટલું જ નહીં, તેઓ તેમનો વિસ્તાર પણ છોડવા ન માગતા હોવા ઉપરાંત મોટો ફ્લેટ ઈચ્છતા હોય અને પછીનાં રપ વર્ષ સુધી મેન્ટેનન્સ માટે જોવું ન પડે આવાં અનેક કારણસર રિડેવલપમેન્ટ માટે તૈયાર થઈ ગયા છે. શહેરના પાલડી, આંબાવાડી, મણિનગર, જોધપુર તથા સેટેલાઇટ (ઇસરો) વિસ્તારની ૨૫૦થી વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં જાય તે માટેની મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. બિલ્ડરો પાસે રોજની ત્રણથી ચાર ઇન્ક્વાયરી આવી રહી છે.