આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે આ પહેલા વિધાનસભા સંકુલમાં ધારાસભ્યોનો કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કુલ 6 ટીમને ટેસ્ટિંગ માટે વિધાનસભામાં તૈનાત કરવામાં આવી હતી.
વિધાનસભાનું સત્ર પહેલા ગુજરાતના ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાયા
આજે કોંગ્રેસના 3 ધારાસભ્યો અને ભાજપના 1 ધારાસભ્યોના રિપોર્ટ પોઝિટિવ
વિધાનસભા ભવનમાં ધારાસભ્યોના કરાયા એન્ટીજન ટેસ્ટ
સોમવારથી વિધાનસભા સત્ર શરૂ થવાનું છે ત્યારે ગાંધીનગર વિધાનસભામાં ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પણ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ બાકી છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આજે કોંગ્રેસના 46 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ભાજપના 80 ધારાસભ્યોના ટેસ્ટ થયા જેમાંથી એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોંગ્રેસના કુલ 4 ધારાસભ્યો કોરોના પોઝિટિવ
કોંગ્રેસના વિધાનસભામાં કરાયેલા ટેસ્ટિંગમાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમર, વ્યારાના ધારાસભ્ય પૂના ગામિત, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તો 12 ધારાસભ્યોએ બહારથી રિપોર્ટ કરાવીને રજૂ કર્યો. આપને જણાવી દઇએ કે, ગઇકાલે બાયડના MLA જશુ બારડનો પણ રિપોર્ટ આવ્યો હતો.
ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કનુ પટેલ સિવાય મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના મંત્રીઓ અને ધારાસભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત વિધાનસભામાં કામ કરતા કર્મચારીઓ તેમજ પત્રકારોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો હજુ જે બાકી છે તેમના ટેસ્ટ આવતીકાલે કરવામાં આવશે.
ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશેઃ નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સચિવાલયમાં કોરોના પગપેસારા મામલે ગઇકાલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સચિવાલયમાં હજારો કર્મચારી કામ કરે છે. સચિવાલયના દરેક કર્મચારીનો ટેસ્ટ કરાશે. આવતીકાલે ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યો નેગેટિવ સર્ટિફેકેટ આધારે પ્રવેશ અપાશે. કન્ટેનમેન્ટ ઝોન મુદ્દે તેમણે કહ્યું હતું કે, એક કે બે કર્મચારી પોઝિટિવ આવે તો આખો વિભાગ બંધ ન થાય.
વિધાનસભા અને સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા અને સચિવાલયમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. આજે વિધાનસભામાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ઓફિસમાં 3 કર્મચારીને કોરોના થયો છે. જ્યારે મંત્રી ઇશ્વર પટેલની ઓફિસમાં 2 કર્મચારીને કોરોના થયો છે. મહત્વનું છે કે, 21મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે.