મુંબઈના અંધેરીમાં આવેલી ESIC હોસ્પિટલમાં આગ લાગતા 6 મહિનાના બાળક સહિત 8 લોકોનાં મોત થયા છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 142 લોકોને બચાવી લેવાયા છે.
શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરાતા ફાયર વિભાગના 10 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ તથા રાહત કામગીરી હાથ ધરાવામાં આવી હતી.
જો કે હોસ્પિટલ તંત્ર દ્વારા હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકોમાં મોટા ભાગે દર્દીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલના પાંચમા માળે આગ લાગતા તંત્ર માટે મોટી મુશ્કેલી ઊભી થઈ હતી.
મૃતકોના પરિવારજનોને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને બે-બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઇના અંધેરીમાં આવેલા ઇએસઆઇસીના કામગાર હોસ્પિટલમાં સોમવારે રાતે લાગેલી આગમાં મૃતકોની સંખ્યા વધીને આઠ થઇ ગઇ છે. ઇજાગ્રસ્તોને મુંબઇની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
એક મળતી જાણકારી મુજબ ત્રણના મોત સેવન હિલ્સ હોસ્પિટલમાં જ્યારે બેના કોપર હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે. આ ઘટનામાં એક બે મહિનાની બાળકીનું પણ મોત નિપજ્યું છે.