દેશમાં કોરોનાની રસીની અછત પ્રવર્તી રહી છે તેવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આરોપનો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જવાબ આપ્યો છે.
દેશમાં વેક્સિનની અછત-રાહુલે પીએમને લખ્યો હતો લેટર
પ્રસાદનો પલટવાર, વેકિસનની અછત નથી
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કમિટમેન્ટની અછત છે
રવિશંકર પ્રસાદે જણાવ્યું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી પરંતુ રાહુલ ગાંધીને આંખે ઓછું દેખાય છે.તેમણે એવો સવાલ ઉઠાવ્યો કે શા માટે રાહુલ ગાંધીએ હજુ સુધી કોરોનાની રસી લીધી નથી. એવું તો નથી ને કે તેઓ કોઈ વિદેશી રસી લઈને આવ્યાં છે.
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રસીની કોઈ અછત નથી
પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રસીની કોઈ અછત નથી પરંતુ હેલ્થકેર પ્રત્યે કમિટમેન્ટનો અભાવ છે.
પ્રસાદે ઉમેર્યું કે રાહુલ ગાંધી તમારે તમારી પાર્ટીની સરકારોને લેટર લખવો જોઈએ કે તેઓ વસૂલીનું કામ બંધ કરે અને લાખો લોકોને વેક્સિન લગાડે, તેઓ રસીને દબાવીને બેઠા છે. મહામારી સામે લડવાનું કોઈ એકલાનું કામ નથી. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને ટ્રેસિંગ પર પણ ધ્યાન આપવાની જરુર છે. રાહુલ ગાંધીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ સમજતા જ નથી. તેમની આ વસ્તુઓની અવગણના કરવાનું કારણ તેમનો અહંકાર છે.
રાહુલ ગાંધી વિદેશી રસી માટે લોબિંગ કરી રહ્યાં છે-પ્રસાદ
પ્રસાદે આગળ લખ્યું કે એક પાર્ટ ટાઈમ નેતા તરીકે અસફળ રહ્યા બાદ હવે તેઓ ફૂલ ટાઈમ લોબિંગના કામમાં જોતરાયા છે. પહેલા તેમણે ફાઈટર પ્લેન કંપનીઓ માટે લોબિંગ કર્યું હતું અને તેઓ ફાર્મા કંપનીઓ માટે લોબિંગ કરી રહ્યાં છે જેથી કરીને વિદેશી વેક્સિનને મનમાની રીતે મંજૂરી મળી શકે.
રાહુલે પીએમ મોદીને પત્ર લખીને કર્યો આ આરોપ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીએ પત્ર લખીને એવું જણાવ્યું કે દેશમાં કોરોનાની રસીની અછત હોવાથી ટીકા ઉત્સવ કેવી રીતે મનાવી શકાશે. આ ઉત્સવની વાત નથી પરંતુ ગંભીર સમસ્યા છે. વેક્સિનની ખરીદી અને વિતરણમાં રાજ્ય સરકારોને વધારે સત્તા આપવી જોઈએ. તેમણે કહ્યું કે જે સમૂદાયો પર ખતરો છે તેમને સીધી રીતે સહાય પૂરી પાડવાની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. રાહુલે બીજા કેટલીક રસીની પણ ઝડપી મંજૂરીની માંગ કરી હતી.