શહેરના શોપિંગ મોલ અને મલ્ટિપ્લેક્સમાં વાહનોનો મનફાવે તેવો પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહીં તેવો મહત્ત્વનો ચુકાદો આજે હાઈકોર્ટની ખંડપીઠે આપ્યો છે. હાઈકોર્ટે આ ઉપરાંત પાર્કિંગ ચાર્જ અંગે શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નોટિસનો અમલ કરવાનો પણ આદેશ આપ્યો છે.
શહેરના શોપિંગ મોલમાં ઉઘરાવવામાં આવતા પાર્કિંગ ચાર્જ અંગે હાઇકોર્ટના સિંગલ જજના ચુકાદાને પડકારતી રીટમાં હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિટ બીરેન વૈષ્ણવની બેંચ આજે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મોલ અને મલ્ટિપ્લેકસમાં વાહનચાલકો પાસેથી મનફાવ્યા પાર્કિંગ ચાર્જ વસૂલ નહીં કરવા માટેનો આદેશ કર્યો છે. સાથે સાથે જે મોલ અને મલ્ટિપ્લેકસમાં નોટિસ આપ્યા બાદ પણ જો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે તો તેની સામે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરી શકશે. હાઇકોર્ટની સિંગલ જજની બેંચે રાજ્યમાં મોલ- મલ્ટિપ્લેક્સને એક કલાક ફ્રી પાર્કિંગ અને ત્યારબાદ ટુ-વ્હીલરના ૨૦ અને ફોર વ્હીલરના રૂપિયા ૩૦ લઈ શકાય તેવો ચુકાદો જારી કર્યો હતો. જેની સામે મોલના સંચાલકોએ હાઈકોર્ટમાં ખંડપીઠમાં રીટ પિટિશન ફાઇલ કરી હતી.
ગત વર્ષે મોલ-મલ્ટિપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જ અંગે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે મોલના માલિકોએ ખરીદી માટે આવતા ગ્રાહકોને પ્રથમ ૧ કલાક મફતમાં પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે. અને ત્યારબાદ ટુ-વ્હીલરના રૂ. ૨૦ અને ફોર વ્હીલરના રૂ. ૩૦ પાર્કિંગનો ચાર્જ વસૂલ કરી શકશે. શહેરમાં રસ્તા ઉપર આડેધડ થતાં પાર્કિંગ પછી પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી તમામ મોલ અને મલ્ટિપ્લેક્સને ગ્રાહકોને મફતમાં પાર્કિંગની સુવિધા આપવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે એવો દાવો કર્યો હતો કે, કોર્પોરેશને મોલ અને મલ્ટિપ્લેક્સને મંજૂરી આપી ત્યારે ગ્રાહકોને પાર્કિંગની વ્યવસ્થા આપવાની જવાબદારી મોલ માલિકોની હતી. પોલીસ કમિશનરના જાહેરનામા સામે મોલ માલિકોએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં એવી રજૂઆત કરાયેલી કે, પોલીસે જારી કરેલ આદેશને રદ કરવામાં આવે. આ અંગે જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આદેશ કર્યો હતો.
જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ આપેલા ચુકાદાને મોલ મલ્ટિપ્લેક્સના માલિકોએ હાઇકોર્ટની ખંડપીઠમાં પડકાર્યો હતો. મોલના માલિકોએ કરેલી રીટ પિટિશનમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે પાર્કિંગ એ પાયાની જરૂરિયાત છે, તેનો વ્યાવસાયિક ઉપયોગ થઈ શકે નહીં. જો મોલ-મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલવાની છૂટ આપવામાં આવશે તો અન્ય કોમર્શિયલ જગ્યાઓ પણ પાર્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દેશે. પાર્કિંગ ફી વસૂલવા અંગે કોઈ કાયદો નથી પરંતુ રાજ્ય સરકાર હાલના તબક્કે પાર્કિંગ ફી અંગેની નીતિ ઘડી રહી છે. જ્યારે સામા પક્ષે મોલ-મલ્ટિપ્લેક્સની રજૂઆત હતી કે મોલ-મલ્ટિપ્લેક્સ પાર્કિંગ ફી ન વસૂલી શકે તેવો કોઈ કાયદો કે નિયમ પણ અસ્તિત્વમાં નથી. પાર્કિંગનાં સ્થળના મેન્ટેનન્સનો ખર્ચ નીકળે તે માટે પાર્કિંગ ફી વસૂલવામાં આવે છે.
જીડીસીઆરના કયા નિયમ પ્રમાણે મોલ-મલ્ટિપ્લેક્સ પાર્કિંગ ચાર્જ વસૂલી શકે, તે સ્પષ્ટતા કરવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ આપ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેની ખંડપીઠે મોલ-મલ્ટિપ્લેક્સને હળવી ટકોર કરી કે, આ તમારી જરૂરિયાત નહીં પણ લોભ છે. એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, શું જીડીસીઆરના નિયમ પ્રમાણે પાર્કિંગ ફાળવવાની જવાબદારી મોલ-મલ્ટિપ્લેક્સની છે, બાંધકામ દરમિયાન પાર્કિંગ માટે કેટલી જગ્યા ખુલ્લી રાખવી તેની સ્પષ્ટતા જીડીસીઆરમાં છે કે કેમ, તે બાબતે સ્પષ્ટતા કરવાનો આદેશ આપ્યો હતો.