કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ DyCM નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. જેને લઈને મહેસાણા પોલીસ એકશનમાં આવી છે એન સ્થાનિક પોલીસ પાસેથી ખુલાસો મંગાયો છે.
પૂર્વ DyCM નીતિન પટેલને ગાયે અડફેટે લેવાનો મામલો
મોટા નેતાને ગાયે અડફેટે લીધા બાદ પોલીસ એકશનમાં
મહેસાણા DySPએ પોલીસ પાસેથી ખુલાસો માંગ્યો
ત્રણ દિવસ આગાઉ મહેસાણાના કડીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લેતા તેમને ઢીંચણના ભાગે સામાન્ય ઈજા થઇ હતી. આ ઘટનાને લઈને મહેસાણા પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. જેમાં મહેસાણા DySPએ પોલીસ પાસેથી વિચિત્ર ખુલાસો માંગતા આશ્ચર્ય સર્જાયું છે. ગાય મુદ્દે મહેસાણા DySPએ કડી પોલીસ સ્ટેશન અને lcb તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બંદોબસ્તમાં રહેલા પોલીસને પત્ર પાઠવી ખુલાસો માંગ્યો છે.
રખડતા ઢોર હતા તો આયોજકોને જાણ કરી હતી કે નહીં ?
મહત્વનું છે કે વિવિઆઇપીના રુટનું અગાઉથી નિરીક્ષણ કરવાનું હોય છે. જેમાં કોઈ ભયસ્થાન દેખાઈ તો જાણ આયોજકોને કરવાની હોય છે. આ બાબતનો ખુલાસા માંગતા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં જણાવ્યા અનુસાર રેલી સ્થળે ગાય અડચણરુપ બનશે તે ખબર હતી કે નહીં ? તેવો સવાલ પૂછ્યો છે. વધૂમાં રખડતા ઢોર હતા તો આયોજકોને જાણ કરી હતી કે નહીં ? તે સહીતના આશ્ચર્યજનક ખુલાસાને લઈને લોકોમાં પણ સવાલો ઊભા થયા હતા. નિરીક્ષણ બાદ જવાબદાર અધિકારીઑએ ઉપરી અધિકારીઑને જવાબમાં શું જણાવ્યું હતું તે પ્રમાણિત નકલ સાથે હાજર રહેવા જણાવાયું છે. ત્યારે રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા જે જગજાહેર છે તો ત્યારે કોઇએ ખુલાસા ન પૂછ્યા? તે સહીતનો ગણગણાટ લોકોમાં ફેલાયો છે.
શું હતી સમગ્ર ઘટના ?
13 ઓગષ્ટના રોજ મહેસાણાના કડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરી કરણપૂર શાક માર્કેટમાં પહોંચી હતી. આ દરમિયાન એકાએક રખડતી ગાય દોડતી આવતા રેલીમાં ભાગદોડી મચી ગઇ હતી. જેમાં નીતિન પટેલને ગાયએ અચાનક આવીને અડફેટે લેતા તે પડી ગયા હતા. આ ઉપરાંત એકથી બે વિદ્યાર્થીઑને પણ ઇજા થઇ હતી. આ વેળાએ નીતિન પટેલને પગમાં લાગ્યું હોવાથી ઊભા થવાય તેવી સ્થિતિ ન હોવાથી કાર્યકરોની મદદથી કારમાં બેસાડી સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ઢીંચણમાં ઇજા થઇ હોવાથી તબીબોએ સારવાર કરી અને 20 દિવસ પાટો બાંધી રાખવા તબીબોએ સલાહ આપી હતી.
સળગતા સવાલો
નેતાજીને ઢોર અડફેટે લે છે તો જ તપાસ થાય?
આવી તસ્દી સામાન્ય માણસો માટે કેમ નથી લેવાતી?
રસ્તા પર રખડતા ઢોરને લઇને તંત્ર કેમ એકશન નથી લેતું?
રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા,ત્યારે કોઇએ ખુલાસા ન પૂછ્યા?
રખડતા ઢોરનો ત્રાસ પણ જે તે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે?
નેતાજી માટે આફત બની તો તંત્રની આંખ ખુલી?
અનેક લોકો રખડતા ઢોરના શિકાર બન્યા,તો તપાસ શું થઇ?
રાજ્યની સામાન્ય જનતાના કેસમાં આ રીતે તંત્ર તપાસ ન કરી શકે?