ગુજરાતમાં શાળાઓ દિવાળી સુધી નહીં ખુલે આ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે પણ આજે મળેલી બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવી હોવાનું ગાંધીનગરના સૂત્રોનું કહેવું છે. ટુંક જ સમયમાં આ અંગે જાહેરાત થશે.
રાજ્યમાં શાળાઓ ખોલવાને લઈને મોટા સમાચાર
રાજ્યમાં દિવાળી સુધી શાળા નહીં ખુલે
દિવાળી બાદ શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વિચારણા
રાજ્યમાં શાળાઓ ખોલવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં દિવાળી સુધી શાળા નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ દિવાળી બાદ શાળાઓ ખોલવી કે નહીં તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. દિવાળી બાદ શાળાઓ ખોલવા અંગે સ્થિતિને જોઈને નિર્ણય લેવાશે. આ અંગે ગાંધીનગરની બેઠકમાં ચર્ચા થઈ રહી છે. માર્ચ 2020થી શાળાઓ બંધ છે. શાળા નહીં ખોલવાના નિર્ણયને વાલીઓ અને સંચાલકોનો આવકાર સાંપડ્યો છે. રાજ્યમાં કોરોનાની વક્રરેલી સ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવશે.
GCERT ખાતે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ જેમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા થઈ હતી અને શાળાની ગ્રાન્ટ કાપવામાં આવે છે તે બાબતે પણ ચર્ચા થઇ હતી. શિક્ષકની 5 વર્ષની નોકરી સળંગ કરાય તે બાબતે પરિપત્ર કરાશે બિન શૈક્ષણિક કર્મચારીની ભરતીનો પ્રશ્ન હલ થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત અભ્યાસના ઘટાડા બાબતે ફરી બેઠક કરવામાં આવશે. ટુંક જ સમયમાં સતાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવશે.