જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં પરત ફરેલ મોદી સરકારના કામકાજને લઇને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, રામ મંદિર બનાવવાને લઇને સરકાર ગંભીર નથી પરંતુ તેમની કાર્યપ્રણાલીને જોઇને એવું લાગે છે કે, સરકાર રામ જન્મભૂમિ સ્થળને બદલે અન્ય કોઈ સ્થળે મંદિર બનાવીને રામ ભક્તોને ભ્રમિત કરવા માગે છે.
ઉલ્લેખનીય છે કે, સ્વરૂપાનંદ સરસ્વતીએ EVM ની વિશ્વનીયતા સામે પણ સવાલો ઉભા કર્યા હતા. તો રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે ચાલી રહેલી ચર્ચાને ખોટી ગણાવી હતી, તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી હિંદુ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રામ વિરોધને લઇને તેમણે કહ્યું કે, તે આ બધુ જ રાજનીતિક દ્રષ્ટીકોણથી કરી રહી છે. તેમણે આવું ન કરવું જોઇએ. ભાજપે જય શ્રી રામને પોતાનો રાજનીતિક નારો બનાવી દીધો છે.
તેમણે મોદી સરકારને સલાહ આપી હતી કે, કાંઇ કરો કે ન કરો પરંતુ ગતવર્ષે જે વાયદાઓ કર્યા છે તે પુરા કરો. ઉત્તરાખંડમાં જૌલી ગ્રાન્ટ એરપોર્ટનું નામ શંકરાચાર્યના નામ પરથી રાખવાની વાતને ઉચ્ચારતા સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે કહ્યું કે, ઉત્તરાખંડના લોકો ભગવાન શંકરાચાર્યના ઋુણી છે. કારણકે તેઓ જો ન હોત તો ઉત્તરાખંડમાં ચારધામ ન હોત અને દેશ-દુનિયાથી અહીં શ્રદ્ધાળુઓ આવતા ન હોત.