પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ અફ્રિદી અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર વચ્ચે શાબ્દિક ટિપ્પણી ચાલુ જ છે. ગંભીરના સારવાર વાળા નિવેદન પર હવે આફ્રિદીએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ''ગંભીરને મગજની બિમારી છે અને જો તે ઈચ્છે તો હું તેની સારવાર કરાવીશ. આફ્રિદીએ કહ્યું કે, જો તેના વિઝામાં મુશ્કેલી આવી રહી હોય તો હું તેમાં તેની મદદ કરીશ. આફ્રિદીએ આ વાત તેમની આત્મકથા ગેમ ચેન્જરના લોન્ચિગ વખતે કહી હતી. ''
આફ્રિદીએ તેમના પુસ્તકમાં ગંભીર વિશે નકારાત્મક વાતો લખી છે. આફ્રિદીએ તેમની આત્મકથામાં ગંભીર વિશે લખ્યું છે કે, ''ગંભીર ડોન બ્રેડમેન અને જેમ્સ બોન્ડ હોય તેવી રીતનું તેનું વલણ હોય છે. ગંભીરે તો કોઈ મહાન રેકોર્ડ પણ બનાવ્યો નથી. જેના જવાબમાં ગંભીરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને મનોચિકિત્સક પાસે લઈ જવાની વાત કહી હતી. અને હવે આફ્રિદીએ ગંભીરની વાતોનો પણ જવાબ આપ્યો છે. ''
આ બન્ને ખેલાડીઓ વચ્ચે મેદાનની અંદર અને બહાર ઘણી વખત ઘર્ષણ થયું છે. આફ્રિદીની ટીકાઓથી તે સ્પષ્ટ જોઈ શકાય છે કે બન્ને વચ્ચેની દુશ્મનાવટ ઘણી જૂની છે. આ બંને વચ્ચે માથાકૂટની શરૂઆત 2007માં થઈ હતી. વર્ષ 2007માં કાનપુરમાં વન ડે સિરીઝ દરમિયાન બોલાચાલી થઈ હતી. મહત્વનું છે કે, આફ્રિદીએ તાજેતરમાં જ સ્વીકાર્યુ છે કે તેને ઉમરને લઈને છેતરપિંડી કરી હતી એક મેચમાં સદી ફટકારી હતી જેમાં તેઓ 16 નહીં પરંતુ 21 વર્ષના હતા. જ્યારે વર્ષોથી માનવામાં આવી રહ્યું હતું કે, ત્યારે તેઓ 16 વર્ષના જ હતા.