અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ઘર્ષણ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી મુફિસ અહેમદ અન્સારી અને ઉમરખાન પઠાણની ધરપકડ કરી છે. અગાઉ ક્રાઈમ બ્રાંચે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની સાથે 58થી વધુ લોકોની ધરપકડ કરી હતી. શહેજાદ ખાન પઠાણ, મુફિસ અહેમદ અન્સારી અને ઉમરખાન પઠાણ વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવાની ફરિયાદ થઈ છે. સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો વાયરલ કરીને હિંસા માટે લોકોને ઉશ્કેર્યા હતા.
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ઘર્ષણ મામલે મોટો ખુલાસો
વીડિયો પોસ્ટ કરનાર આરોપી અને વોન્ટેડ મુફીસ અહેમદ અંસારીની ધરપકડ
દરગાહની અંદર સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટર બતાવ્યા હતા
શાહઆલમમાં થયેલી હિંસા એક ષડયંત્ર હતું. આ મામલે આરોપીઓએ 18 ડિસેમ્બરેની રાત્રે મિલ્લતનગર ચાર મિનાર ખાતે બેઠક યોજી હતી. મુફિસ અહેમદ અન્સારી અને શહેજાદ ખાન પઠાણે બેઠક યોજી હતી. તેમણે ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. ઉપરાંત MS નામથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ વોટ્સએપ ગૃપમાં પણ ઉશ્કેરણીજનક ભાષણ કરાયા હતા.
દરગાહની અંદર સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટર બતાવ્યા હતા
વોટસએપ ગ્રુપમાં અમદાવાદના નામે લખનઉના વિરોધનો ફેક વીડિયો પોસ્ટ કરાયો હતો. જેને લઈને અમદાવાદમાં હિંસા વકરી હતી. ત્યારબાદ વોટસએપ ગ્રુપ ડિલિટ કરાયું હતું. આથી પોલીસે વોટ્સએપનો ડેટા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. મુફિસ અન્સારીએ દરગાહની અંદર સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટર પણ બતાવ્યા હતા. જો કે હાલ ક્રાઇમ બ્રાન્ચે વોટ્સએપનો ડેટા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધી 64 આરોપીની ધરપકડ થઈ છે.
ગઇકાલે મેટ્રો કોર્ટે 13 આરોપીઓના રિમાન્ડ કર્યા મંજૂર
શાહઆલમમાં પથ્થરમારા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે કોર્પોરેટર શહેજાદ પઠાણ સહિત 13 આરોપીઓના 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા.
ત્યારે કેટલાક સવાલો થાય છે કે, આરોપીઓ સાથે કોણ-કોણ હતું સંપર્કમાં? પથ્થરમારા સમયે પથ્થરો કયાંથી આવ્યા ? મુખ્ય આરોપી મુફિસની સાથે બીજા કોણ સંપર્કમાં હતા ? આરોપીઓએ દહેશત ફેલાવવા કયા વિસ્તારમાંથી લોકોને બોલાવ્યા હતા? આરોપીઓએ બનાવેલુ MS નામનું વોટ્સએપ ગૃપ શેના માટે હતુ? આરોપીઓના મોબાઈલ ડેટામાં શું છે ?