ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે જાનવર અથડાવાની ઘટના સતત બીજી ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે. શુક્રવારે થયેલ દુર્ઘટનામાં ટ્રેનના આગળના હિસ્સાને થોડું નુકસાન પહોંચ્યું હતું. જો કે, આ સમગ્ર મામલે રેલ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
આજે ફરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો
રેલવે મંત્રીએ આપ્યું નિવેદન
કહ્યું- ડિઝાઈન તૈયાર કરતી વખતે રખાયું છે ખાસ ધ્યાન
માહિતી આપતાં, વટવા રેલ્વે સ્ટેશન પર તૈનાત RPF ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રેલ્વે એક્ટ, 1989ની કલમ 147 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જે રેલ્વેના કોઈપણ ભાગમાં અનધિકૃત પ્રવેશ અને તેની મિલકતના દુરુપયોગ સાથે સંબંધિત છે.
રૅલવે મંત્રીએ આપ્યું મોટું નિવેદન
આ સાથે જ આ અકસ્માતો પર રેલ્વે મંત્રીનું સ્પષ્ટીકરણ પણ આવ્યું છે. ગુજરાતના આણંદમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પર પશુઓ સાથે ટ્રેનની અથડામણ અંગે અમે નોંધ પહેલાથી લીધી હતી અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની ડિઝાઈન કરતી વખતે તેને ધ્યાનમાં રાખવામાં આવેલ છે.
આણંદ નજીક આજે ફરી થયો અકસ્માત
ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ગઈકાલે ગુરુવારે અકસ્માત નડ્યા બાદ આજે પણ અકસ્માત નડ્યો છે. વંદે ભારત ટ્રેનની જ્યારે માઠી બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. આ વખતે ગાય સાથે ટ્રેનની ટક્કર થઈ છે. પુરપાટ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેન આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું છે.
ગુરુવારે પણ બની હતી દુર્ઘટના
આપને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે પણ હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત અકસ્માતનો શિકાર બની હતી. મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેન વટવા અને મણિનગર સ્ટેશન પાસે પશુઓના ટોળા સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. દુર્ઘટના બાદ લગભગ 20 મિનિટ સુધી ટ્રેનને રોકવી પડી હતી. આ અકસ્માતમાં ચાર ભેંસોના મોત થયા હતા.