દેશમાં હાલ નવા મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક નિયમોના દંડ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે સરકાર વધુ એક નવી યોજના લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 15 વર્ષથી વધારે જુના વાહનોને રસ્તા પરથી દુર કરવા માટે તેમના રી-રજીસ્ટ્રેશન ફીમાં તોતિંગ વધારાનો પ્રસ્તાવ આપ્યો છે.
પરિવહન મંત્રાલય દ્વારા રી-રજીસ્ટ્રેશન ફીમાં તોતિંગ વધારાનો પ્રસ્તાવ
સરકારનો પ્રસ્તાવિત વધારો જુલાઇ 2020થી લાગૂ કરવામાં આવશે
મંદ પડેલી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે સરકારની નવી સ્ક્રેપેજ પોલિસી
પ્રસ્તાવિત વધારો જુલાઇ 2020થી લાગૂ કરવામાં આવશે
લાઇવ મિન્ટની એક રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત વધારો જુલાઇ 2020થી લાગૂ કરવામાં આવશે. પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની રૂપરેખાને હાલ સાર્વજનિક કરાઇ નથી, પરંતુ એવા સમાચાર છે કે, જલ્દી જ તેને મંત્રિમંડળ પાસે તેની સ્વીકૃતિ માટે મોકલવામાં આવશે.
આ નવી નીતિને લાગૂ કરવા પાછળ સરકારનો ઇરાદો છે કે, એવા જુના વાહન જે વધારે પ્રદુષણ ફેલાવે છે તેમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. આ ઉપરાંત સરકારની નવી સ્ક્રેપેજ પોલિસીને પણ પ્રોત્સાહન મળી શકે.
ફીમાં 25 ગણો વધારો
મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નીતિમાં ઘણી જોગવાઇ કરવામાં આવી છે. પ્રસ્તાવિત નીતિ અનુસાર, જુના ખાનગી વાહનોના રજિસ્ટ્રેશનના રિન્યૂઅલ માટે 25 ગણી વધારે ફી લઇ શકાય તેમ છે. એટલે કે જે હાલ 600 રૂપિયા છે તે વધીને 15,000 રૂપિયા સુધી થઇ શકે છે. જ્યારે કમર્શિયલ ફોર વ્હીલર વાહનોના રજીસ્ટ્રેશનના રીન્યૂઅલની ફી 1000 રૂપિયાથી વધીને 20,000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત મધ્યમ કોમર્શિયલ ફોર વ્હીલર વાહનો માટે, રજીસ્ટ્રેશનના નવીનીકરણની ફી 1500 રૂપિયાથી વધારીને 40,000 રૂપિયા સુધી કરવામાં આવી શકે છે.
નવી સ્ક્રેપેજ પોલિસીથી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝને ઝડપ મળશે
જો કોઇ વાહન 15થી વધારે વર્ષ જુનુ છે અને તેના રજીસ્ટ્રેશનને રેન્યૂઅલ કરવામાં આવ્યું નથી. તો તેનું રજીસ્ટ્રેશન જાતે જ નિષ્ક્રિય થઇ જશે. હાલ આ વિશે સરકાર તરફ થી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. કેટલાક જાણકારો અનુસાર, સરકારની નવી સ્ક્રેપેજ પોલિસીથી દેશની મંદ પડેલી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝને ઝડપ મળશે. લોકો નવા વાહનો ખરીદશે. નોંધનીય છે કે, ગત ઓગસ્ટ મહીનાથી પેસેન્જર વાહનોના વેચાણનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.