સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે જેથી શેરબજાર ઊંધા માથે પટકાયું છે. જો કે આ અફરાતફરીમાં પણ રોકાણકારો ઉત્સાહથી SBI કાર્ડના IPOની રાહ જોઈ રહ્યા છે. બુધવાર સુધીમાં SBI કાર્ડના 10 કરોડ શેર માટે 155 કરોડ જેટલી માંગ બહાર આવી છે અર્થાત 15 ગણી બોલી લગાવવામાં આવી છે.
SBI કાર્ડના IPOના રોકાણકારો સતત ત્રીજા દિવસે મીટ માંડીને બેઠા છે. 10,02,79,411 શેર માટે કુલ 1,55,35,33,765 ઓર્ડર આવ્યા હતા. QIBનો ક્વોટા 57.18 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
આ IPOની પ્રાઈઝ રેન્જ 750-755 રૂપિયા રાખવામાં આવી છે. આ માટે રોકાણકારોએ ઓછામાં ઓછો એક સ્લોટ બુક કરવો પડશે. એક સ્લોટમાં 14345 રૂપિયાના 19 શેર હશે.
શું છે આ IPOની ખાસિયત
આ IPOની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) નો હિસ્સો છે. SBI પોતે એક મજબૂત બ્રાન્ડ છે. SBI કાર્ડનો ડેબિટ કાર્ડ ટુ ક્રેડિટ કાર્ડ રેશિયો 3.7% છે જ્યારે આ આંકડો HDFC બેંક માટે 45%, એક્સિસ બેન્ક માટે 28% અને ICICI બેંક માટે 18% છે.
શું છે આ IPOના જોખમો
ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં આવકના બે સ્ત્રોત છે: પ્રથમ ફી ઇન્કમ અને બીજો વ્યાજની આવક.
વ્યાજની આવકએ લાઈન ઓફ ક્રેડિટ હોય છે જે ઇન્ડસ્ટ્રીને વાર્ષિક 30-42% એન્યુઅલ પર્સન્ટેજ રેટ આપે છે. જયારે ફી ઇન્કમની રકમ માત્ર ગ્રાહક પાસેથી જ નહીં પણ મર્ચન્ટ પાસેથી પણ લેવામાં આવે છે કે જેમની પાસેથી ક્રેડિટ કાર્ડની ખરીદી કરવામાં આવી છે.
ભારતમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ની સંખ્યા 1.6-2.5% ની વચ્ચે છે જ્યારે ડેબિટ કાર્ડ્સના MDR સરકાર નિયંત્રિત કરે છે. ક્રેડિટ કાર્ડ MDR પર સરકારનું નિયંત્રણ નથી. ક્રેડિટકાર્ડ ધારકોને વાર્ષિક 30% થી વધુ ચાર્જ વસૂલવાના રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના નિર્ણય સામે SBI કાર્ડે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
મામલો હવે સુપ્રિમ કોર્ટમાં
યસ સિક્યોરિટીઝનું કહેવું છે જે કે જો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય આયોગના આદેશને માન્ય રાખે તો તે SBI કાર્ડની આવક પર વિપરીત અસર થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર ફક્ત SBI કાર્ડ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં વાર્ષિક વ્યાજની મર્યાદા નક્કી કરવામાં આવશે, જે ઇન્ડસ્ટ્રીની આવકને અસર કરશે.