સૌરાષ્ટ્ર યુનિ. વિદ્યાનું નહિં પરંતુ રાજકીય અખાડો બની ગયું છે.સૌરાષ્ટ્ર યુનિ.માં કોઈ કારણસર સેનેટ ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતાં વિજય રૂપાણી જૂથના 6 સિન્ડીકેટ મેમ્બર ઘર ભેગા થશે.
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો
સમયસર ચૂંટણી જાહેર ન થઇ
6 સિન્ડીકેટ સભ્યો થશે દૂર
સેનેટ ચૂંટણી સમયસર ન યોજાવા પાછળ રાજનીતિ જવાબદાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકીય અખાડો બનીને રહી ગઇ છે. સેનેટ ચૂંટણી સમયસર ન યોજાવા પાછળ રાજનીતિ જવાબદાર હોવાનો મત સામે આવ્યો છે. વિજય રૂપાણી જૂથના 6 સિન્ડીકેટ સભ્ય ઘર ભેગા થશે. આ સાથે છેલ્લા 30 વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલા સિન્ડીકેટ સભ્યો ઘર ભેગા થશે.હાલ પ્રદેશ ભાજપના ઇશારે જ ચૂંટણી પાછી ઠેલાઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી.
ચૂંટણી જાહેર ન થવા પાછળ લીગલ કારણ આગળ ધરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચૂંટણી વિવાદ મુદ્દે ડૉ. નિદત બારોટનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે લોકશાહીમાં ચૂંટણી યોજાય તે અનિવાર્ય છે. છેલ્લા ત્રણ વર્ષથી મતદારયાદી રિવાઇઝ નથી થઇ. પ્રોફેસરોની ભરતીમાં વોટ્સેએપ કાંડની અમે સરકારને જાણ કરી હતી. જૂના સિન્ડીકેટ સભ્યોને દૂર કરવાનો નિર્ણય આવકાર્ય છે.
સેનેટની ચૂંટણી ને લઈ કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે-કુલપતિ
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સેનેટની ચૂંટણી ને લઈ કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે. દર વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં મતદાર યાદી રિવાઈઝ કરવી જોઈએ પરંતુ 2017 બાદ મતદાર યાદી રિવાઈઝ કરવામાં નથી આવી. મતદાર યાદી રિવાઇઝ ન થઇ હોવાતી કાયદાકીય નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમણે સમગ્ર મામલે રાજ્ય સરકારના આદેશ મુજબ કામગીરી કરવાની વાત કરી હોવાથી રાજ્ય સરકારનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
શું છે વિવાદનું કારણ ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 23મી મેના રોજ વર્તમાન સેનેટની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જો કે હજી સુધી કોઈ કારણસર સેનેટ ચૂંટણી જાહેર કરવામાં આવી નથી બીજી તરફ 49 દિવસ પૂર્વે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય છે. હાલ ચૂંટણી નહીં થતા કેટલાક સિન્ડિકેટનું પદ જવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.જેમાં ભાજપના 5 સભ્યોનું સિન્ડિકેટ અને કોંગ્રેસના એક સભ્યનું સિન્ડિકેટ પદ જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી મતદારની યાદી રિવાઈઝ નથી કરાઈ.