સરઢવની માધ્યમિક શાળાના 80 વર્ષ પૂર્ણ થતા શાળાનો જન્મદિવસ ઉજવાયો, મુખ્યમંત્રીએ સરઢવ ગામે લોકો સાથે પ્રભાતફેરીમાં ભાગ લીધો
ગાંધીનગરના સરઢવ ગામે શાળાના જન્મદિનની ઉજવણી
સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રભાતફેરીમાં જોડાયા
ગાંધીજી કહેતા કે સાચું ભારત ગામડામાં વસેલું છેઃ CM
ગાંધીનગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માધ્યમિક શાળાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. સરઢવની માધ્યમિક શાળાને 80 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સરઢવ ગામે ગ્રામજનો સાથે પ્રભાતફેરીમાં પણ ભાગ લીધો હતો.
ગામના ઉત્સાહને વિકાસના કર્યો થકી અમે પરત કરીશુઃ CM
અમદાવાદમાં પીએમ મોદીએ સરપંચોના મહાસંમેલનમાં શાળાના જન્મ દિવસની ઉજવણી કરવા અપીલ કરી હતી જેને ધ્યાને રાખીને સરઢવમાં આવેલી માધ્યમિક શાળાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સીએમએ જણાવ્યું હતું કે ગામના ઉત્સાહને વિકાસના કાર્યો થકી અમે પરત કરીશું , તો શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે દરેક ગામડામાં શાળાના જન્મદિવસની ઉજવણી થવી જોઇએ.
પાણી-વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ- ભૂપેન્દ્ર પટેલ
તેઓએ વધુમાં જણાવ્યુ કે હવે ગામડા ધીરે ધીરે શહેરો જોવા બની રહ્યા છે. ગાંધીજીને યાદ કરતા એમ પણ જણાવ્યું કે ગાંધીજી કહેતા કે સાચું ભારત ગામડામાં વસેલું છે. સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીની જરુરિયાત ઉભી થઇ છે. સરહદે સૈનિકો દેશ માટે સેવા આપે છે તેવી રીતે આપણે પાણી અને વીજળી બચાવીને દેશ સેવા કરી શકીએ છીએ.
માધ્યમિક શાળાના 80 વર્ષ પૂર્ણ થતા ઉજવણી
સરઢવમાં માધ્યમિક શાળાના જન્મદિનની ઉજવણીમાં વૃક્ષારોપણ-પશુ સારવાર કેમ્પનું આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ એનિમલ કંટ્રોલ ડિસીઝ પ્રોગ્રામ અન્વયે પશુ રસીકરણ કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે આજે સવારે ૬-૩૦ કલાકે ગાંધીનગર નજીકના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રી સરઢવ ગામની પ્રભાત ફેરીમાં જોડાઇને આત્મનિર્ભર ભારતની આઝાદીનું ગૌરવ ગાન કરવા સાથે સ્વાતંત્ર્ય વીરોના સપનાના રાષ્ટ્રના નિર્માણની જનચેતના ગ્રામજનોમાં ઉજાગર કરી હતી.