ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 133.62 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાંથી 2 લાખ 64 હજાર 408 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી વધીને 133.62 મીટરે પહોંચી છે. ડેમમાંથી હાલમાં 1 લાખ 23 હજાર 900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
પાણીની આવક થતા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 3 હજાર 450 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો નોંધાયો છે. ડેમમાં પાણીની આવક થતા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નદીમાં 1 લાખ 72 હજાર 947 પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આ અગાઉ 21મી તારીખે પણ ઉપરવાસમાંથી 2 લાખ 29 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી હતી. જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 133.08 પર પહોંચી ગઇ હતી. જ્યારે ડેમમાંથી 1 લાખ 79 હજાર ક્યૂસેટ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.
પાણીની આવકને લઇને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટની ક્ષમતા વાળા 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતા. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતાવાળા ટર્બાઇન અગાઉથી જ ચાલુ હતા. જેમાં 24 કલાકમાં 29.5 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.